જામનગર
શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી કામો માટે લોકો દોડધામ કરતાં હોય છે, અને આ કચેરીઓમાં પેધી ગયેલાં દલાલો-વેચટિયાઓ અને કર્મચારીઓની મીઠી નજર હેઠળ તાત્કાલીક અને ઝડપી કામ કરવા માટે પૈસાની ઉઘરાણી કરતાં હોવાની બાબત સામાન્ય બની જવા પામી છે અને આવા દલાલોના કારણે પ્રજા બેફામ લૂંટાઈ રહી હોવાના વારંવાર બનાવો સામે આવ્યા છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇ જામનગર અધિક કલેકટર દ્વારા ફરીથી સરકારી કચેરીઓમાં દલાલો અને વચેટિયાઓને પ્રવેશવા સામે પ્રતિબંધ ફરમાવતું વધુ એક અસરકારક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે અગાઉના જાહેરનામાના ખૂદ સરકારી કચેરીઓ જ અમલ કરતી ન હોવાના વારંવાર પુરાવાઓ સામે આવ્યા છે.
દરમિયાન તે ધ્યાને લઇ અધિક કલેકટર દ્વારા વધુ એક વખત કડક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે કે, જામનગર જિલ્લામાં આવેલ કલેકટર કચેરી, તમામ પ્રાંત અધિકારીઓની કચેરીઓ, તમામ તાલુકા મામલતદાર કચેરી, ઝોનલ કચેરીઓ, જી. જી. હોસ્પિટલ, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન-2, જિલ્લા સેવા સદન-3, જિલ્લા સેવા સદન-4, મહેસુલ સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ તથા તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં તમામ પોલીસ સ્ટેશનો, જામનગર મહાનગરપાલિકાની કચેરી તથા તે કચેરી હેઠળની ઝોન કચેરીઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને આર.ટી.ઓ. ચેકપોસ્ટ તથા જિલ્લામાં આવેલ તમામ અન્ય સરકારી કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી થાય છે.
ત્યાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતા હોય છે ત્યારે કેટલાક બનાવો પરથી ઉક્ત તમામ કચેરીઓ આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક ઇસમો એકલા અથવા ટોળામાં જાહેર જનતા પાસેથી છેતરપિંડી આચરી પૈસા પડાવે છે, અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃત્તિઓ કરતાં હોવાનું જણાયેલ છે. તો આવા ઈસમો કે ઈસમોની ટોળીને કચેરીમાં પ્રવેશ ઉપર તા.9-3-2020 સુધીના રાજેન્દ્ર સરવૈયા દ્વારા પ્રતિબંધ ફરમાવીને આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને સજાને પાત્ર થશે તેવી જોગવાઇ કરાઇ છે,
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર અધિક કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ થયાં બાદ દરેક સરકારી કચેરીઓના નોટિસબોર્ડ ઉપર લગાડવાનું હોય છે. જેવામાં અધિક કલેકટરના આ જાહેરનામાનો ઘણી સરકારી કચેરી ઉલાળિયો કરતી હોવાનું સામે આવ્યું છે. જેમાં જામનગરની આરટીઓ કચેરી મોખરે હોય તેમ આ કચેરીમાં લાયસન્સથી માંડીને અન્ય આરટીઓના કામ માટે દલાલો મારફત જ કામ થાય છે, જો કે અધિકારીઓનો વાંક નથી જરૂર થી ઓછા સ્ટાફમાં ચાલતા કામો માંડ થાય છે, ત્યાં એજન્ટોને કેમ રોકવા.? અને આરટીઓમાં તો સ્થિતિ એવી હોય છે કે કચેરીમાં સ્ટાફ કરતાં દલાલોના આટાં-ફેરા વધુ હોય છે. ત્યારે અધિક કલેકટરના જાહેરનામાની સૌથી વધુ ફજેતી આરટીઓ કચેરીમાં થાય છે તેમજ આવકના દાખલાથી માંડીને જાતીના દાખલા સહિત ખેડૂતોને લગતી કામગીરી માટે પણ મહેસુલી કચેરીઓમાં દલાલો મારફત પ્રજાની સાથે છેતરપીંડી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે અને નાગરીક અધિકાર પત્ર અન્વયે જ કામગીરીનો નિયમ હોવા છતાં વચેટિયાઓ વગેરે મારફત ઝડપથી કામગીરી કરવામાં આવતી હોવાનું જગજાહેર છે. ત્યારે અધિક કલેકટરના પ્રજાલક્ષી આ જાહેરનામાની સરકારી કચેરીઓ કડક અમલવારી કરે તેવી માંગણી થાય તે સ્વાભાવિક છે.