Mysamachar.in-ગાંધીનગર
આપણે ત્યાં પક્ષપલટુ નેતાઓની કોઈ કમી નથી, અને તેમાય છેલ્લા કેટલાક વર્ષોથી જેવી રાજ્યસભાની ચુંટણી આવે અને પક્ષપલટાની મોસમ ચાલુ થાય છે, આવા પક્ષપલટુઓને લીધે પેટાચૂંટણીઓ જે તે વિધાનસભા વિસ્તારમાં યોજવી પડે છે. પક્ષપલટુઓએ પોતાના પ્રચાર માટે અને પેટાચૂંટણી માટેના નાણાં રિકવર કરવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. જેમાં રજૂઆત કરાઇ છે કે ચૂંટણી પંચે આવા લાલચુ ધારાસભ્યો પાસેથી પક્ષ બદલે ત્યારે પ્રચાર માટે વાપરેલાં નાણાં વસૂલવા જોઇએ. ચૂંટણીપંચે આ અંગે નોટેફિકેશન બહાર પાડવા અને પક્ષપલટુઓ માટે નિયમો બનાવવા અરજીમાં દાદ માંગવામાં આવી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
જાહેરહિતની અરજીમાં પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી અંગત પ્રચાર માટે કરેલા અને પેટાચૂંટણીના ખર્ચા પેટે નાણાંની રિકવરી કરવાની દાદ માગી છે.લગભગ એક વિધાનસભાની પેટાચૂંટણીનો ખર્ચ 2 કરોડ રૂપિયા જેટલો થાય છે. તેનો બોજો સામાન્ય લોકો પર પડતો હોવાનું અરજીમાં ટાંકવામાં આવ્યું છે, જુલાઇ 2018 થી જુન 2020 સુધીમાં કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો પાસેથી ચૂંટણી માટે થતા ખર્ચા વસૂલવા માગણી કરાઇ છે. ધારાસભ્યપદેથી રાજીનામું આપે તે પહેલા તેની પાસેથી 2 કરોડનો ખર્ચ વસૂલી લેવા ચૂંટણી પંચને આદેશ કરવા માગણી કરાઇ છે.
વધુમાં ચૂંટણી પંચે ચૂંટાયેલા ધારાસભ્યો તેમની ટર્મ પૂર્ણ નહીં થાય ત્યા સુધી રાજીનામું નહી આપે તેવી બાહેંધરી લેવી જોઇએ. પેટાચૂંટણીઓના ખર્ચા બચાવવા અને આવા લાલચુ ધારાસભ્યો માટે ચૂંટણી પંચે નિયમો ઘડવાની જરૂર છે.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં કોગ્રેંસના 77 ઉમેદવારો ચૂંટાયા હતા તેમાથી 19 ધારાસભ્યોએ તબક્કાવાર કોગ્રેંસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.