Mysamachar.in-જામનગર:
જામનગર પીજીવીસીએલ વીજચોરી પકડવા માટે છાશવારે જુદા જુદા વિસ્તારોમાં ફોજો ઉતારીને મોટી મોટી વીજચોરીના આંકડાઓ તો દર્શાવે છે, પણ આ જ પીજીવીસીએલની કેવી બેદરકારી છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે, અને આ મામલો ભારે ચોકાવનારો છે, બેડેશ્વર વિસ્તારના સામાજિક કાર્યકર અનવર સંઘાર દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં 500 થી વધુ વીજ મીટર ધારકોને બીલ આપવામાં આવતા જ નથી..!
પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, બેડેશ્વર વિસ્તારમાં 500 થી 600 વીજમીટર ધારકોને છેલ્લાં 1 વર્ષથી વીજબીલ આપવામાં આવતા નથી.આ બાબતે સંબધિત અધિકારીઓને રજૂઆત કરતા મીટર ફાળવણીના અને અરજદારના કેવાયસી લઇ આવો તો આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવા જવાબ આપવામાં આવે છે. આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબત ખૂબજ ગંભીર છે. જેના કારણે વીજકંપની અને વીજમીટર ધારકો બંનેને નુકસાન થઇ રહ્યું છે. વીજમીટર ધારકો બીલ ભરવા તૈયાર છે તો શા માટે તેઓને વીજબીલ આપવામાં આવતા નથી.હવે આવું થયું તો તેના માટે જવાબદાર કોણ અને એક સાથે બીલ આપવામાં આવશે તો લોકો કેમ ભરી શકશે તે સવાલ ઉઠાવી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.
-અધિક્ષક ઈજનેર સી.કે.પટેલ કહે છે કે..
આ બાબતે એકાદ મહિના પૂર્વે મને લેખિત રજૂઆત મળી છે, મેં લાગતા વળગતા અમારા ઇજનેરને આ બાબતે તપાસ સોંપી છે અને તેમાં સત્ય શું છે,.અને કોને આ મીટરો લગાવ્યા છે અને આ બાબતે પ્રાથમિક તપાસ ચાલુ છે અને તે બાદ આગળની કાર્યવાહી નિયમોનુસાર કરવાની થશે તે કરીશુ.