જામનગરમાં ફરી બહારથી મુસાફરી કરી આવતા લોકો વધુ સંક્રમિત જણાયા

સાવધાન જામનગર બહારથી આવનાર લોકો સ્વયં ટેસ્ટ માટે આગળ આવે

જામનગરમાં ફરી બહારથી મુસાફરી કરી આવતા લોકો વધુ સંક્રમિત જણાયા
file image

Mysamachar.in-જામનગર

જામનગર જિલ્લામાં હાલ ફરી કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળ્યો હતો ત્યારે તંત્ર દ્વારા અનેક અથાગ પ્રયત્નો કરીને હાલ જામનગર જિલ્લાને સુરક્ષિત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા, જેના પરિણામ સ્વરૂપ જામનગર જિલ્લામાં ખૂબ ઓછા કેસ જોવા મળી રહ્યા હતા પરંતુ દિવાળીની રજાઓ બાદ અને હાલમાં લગ્નસરાની મોસમમાં ફરી જામનગર જિલ્લામાં કેસમાં વધારો થઈ રહ્યો છે.

તા.1 ના રોજ પોઝિટિવ આવેલ લોકોમાં ગોમતીપુર યુ.પી.એચ.સી. વિસ્તારની આસપાસના સૌથી વધુ કેસ જેમાં 13 પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા. આ દરેક વ્યક્તિની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જાણવા મળી છે. જેમાંથી 3 અમદાવાદ, 3 મુંબઈ, 3 જૂનાગઢ અને 3 રાજકોટથી મુસાફરી કરીને જામનગર આવેલ છે. જેઓ કોઈને કોઈ સામાજિક-વ્યક્તિગત પ્રસંગોના અનુસંધાને જિલ્લા બહાર મુસાફરી કરી આવેલ છે અને ટેસ્ટ કરાવતા પોઝિટિવ જણાયા છે. ત્યારે તંત્ર દ્વારા જિલ્લામાં રોજ 3000  જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે કે જેના થકી જામનગર જિલ્લાના દર્દીઓને તાત્કાલિક સારવાર આપી શકાય અને સંક્રમણની ચેઇન તોડી જામનગર જિલ્લાને ફરી કોરોનાના કહેરથી બચાવી શકાય પરંતુ આ પ્રકારના કેસીસ લોકોની થોડી લાપરવાહી દર્શાવી રહ્યા છે.

આ સમયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગર જિલ્લાના લોકોને એટલી જ અપીલ છે કે,બહારથી મુસાફરી કરીને આવેલ હોય તે લોકો સ્વેચ્છાએ સહકાર આપી પોતાના ટેસ્ટ કરાવે, બહારગામથી જો કોઈ મહેમાન પોતાના ઘરે આવનાર છે તો તેમને પણ ટેસ્ટ માટે અપીલ કરે જેથી આ સંક્રમણ તાત્કાલિક ત્યાં જ અટકાવી શકાય અને દર્દીને તુરંત સારવાર આપી શકાય. અનેક રાજ્યોમાં અને ગુજરાતમાં પણ આપણા અનેક જિલ્લાઓમાં કોરોનાના સેકન્ડ વેવમાં ફરી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આ સમયે જામનગરવાસીઓ જો સાવધાન રહેશે, સતર્ક બની અને ટેસ્ટ ઇઝ બેસ્ટના મંત્રને સાર્થક કરશે તો જામનગરને આ કપરી ક્ષણોનો સામનો કરતાં અટકાવી શકીશું, આ સમયે સાવધાની અને સતર્કતા સાથે નવીન જીવનશૈલીને અપનાવીને આગળ વધવું આવશ્યક છે.

માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટંસિંગ અને વારંવાર હાથને સાફ કરવાની ટેવને લઈ સાથે જ જો કોઈ પણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો દેખાય અથવા તો બહારથી મુસાફરી કરીને આવેલ હોય તે લોકો તુરત તંત્રનો સંપર્ક કરીને અથવા તો નજીકના યુ.પી.એચ.સી.પર જઈને શહેર કક્ષાએ ટેસ્ટ કરાવી શકે છે સાથે જ ગ્રામ્યકક્ષાએ પી.એચ.સી. સેન્ટરોમાં પણ પોતાના ટેસ્ટ કરાવી શકે છે અને પ્રાથમિક તબક્કામાં જ સારવાર મેળવી સ્વસ્થ થવા માટે અગ્રેસર બની શકે છે. ત્યારે લોકો ટેસ્ટ કરાવવા માટે અચકાય નહીં અને સ્વયંએક ડગલું આગળ વધી આ સંક્રમણને અટકાવવામાં સૈનિક રૂપી સાથ આપે તેવી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વે જામનગરવાસીઓને અપીલ કરાઇ છે.