Mysamachar.in-જામનગર:
પોલીસ પ્રજાની રક્ષક છે, પણ પ્રજાની રક્ષા કરવા માટે બળ તો જગતનો તારણહાર શિવજી જ પૂરું પાડી શકે…જામનગર પોલીસ સુપેરે જામનગર જીલ્લાની પ્રજાની રક્ષા કરે છે, ગુન્હાઓનો ભેદ ઉકેલે છે, પણ ખાખીની પાછળ પણ ભક્તિ સમાયેલી છે તેવા દ્રશ્યો કાલે જામનગરમાં જોવા મળ્યા.. છોટીકાશી જામનગર શહેરમા ગઈકાલે શિવરાત્રીના દિવસે પરંપરાગત શિવજીની 41 મી શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં જામનગર જિલ્લાના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓએ આશુતોષ સ્વરૂપના મહાદેવની રજત મઢીત પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી. અને ઉચ્ચ અધિકારીઓથી માંડીને સૌ કોઈએ હર…હર મહાદેવના નાદથી વાતાવરણ ગજવી દીધું હતું,
જામનગર જિલ્લા ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નિતીશ પાંડેય, જામનગરના એસ.ટી.એસ.સી. સેલના ડી.વાય.એસ.પી. જે.એસ.ચાવડા, દેવભૂમિ દ્વારકાના ડી.વાય.એસ.પી. સમીર શારડા, એલસીબી પી.આઈ. એસ.એસ.નિનામા, સીટી એ. ડીવીઝન પી.આઇ. એમ.જે.જલુ, સીટી બી. ડીવી. પી.આઇ. કે. જે. ભોયે, પી.એસ.આઇ. બી.એમ.દેવમુરારી, આર.બી. ગોજીયા, કે. કે. ગોહિલ, કૌશિક સીસોદીયા, સી.એમ.કાટેલિયા ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ ડી. સ્ટાફ,એલસીબી સ્ટાફ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સતત દોઢ કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉંચકી હરહર મહાદેવનો જયજયકાર કર્યો હતો, અને જામનગર પોલીસ વિભાગના અધિકારીઓએ કપાળે ચંદનના તિલક સાથે શિવજીનો જયજય કર પોલીસ વિભાગ શિવમય બન્યો હતો.