Mysamachar.in-જામનગર
વર્તમાનમાં રાજ્યમાં કોરોનાનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે ત્યારે કોરોનાથી સંક્રમિત અને અસરગ્રસ્ત થયેલાં તમામ લોકોને કોરોનાની સારવાર મળે તે જરૂરી છે. તે ધ્યાનમાં રાખીને જામનગરની આરોગ્ય શાખા દ્વારા ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવાની નવતર શરૂઆત કરવામાં આવી છે. આ ઇ-સંજીવની ઓ.પી.ડી. એટલે જાણે “આંગળીના ટેરવે આપનું દવાખાનું”… આપની એક ક્લીક અને દવાખાનું અને સારવાર આપની સામે…. એટલે ના તો કોઇ દવાખાને જવાની જરૂર કે ભીડને કારણે કોરોનાનો ડર…. એટલે કે, ઘર આંગણે દવાખાનું….
આ ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવાનો લાભ હોમ આઇસોલેશનમાં રહેલા કોવિડ-19 પોઝિટિવ દર્દી અને એમના ઘરના લોકો નિઃશૂલ્ક મેળવી શકે છે. તેનો લાભ લેવાં માટે ઇ-સંજીવની ઓ.પી.ડી.ની એપ્લીકેશન એન્ડ્રોઇડ ફોનમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. આ એપમાં દર્દી તરીકે રજીસ્ટર કરવાથી એક ટોકન આવે છે. જે ટોકન લખવાથી સીધા જ ઇચ્છીત તજજ્ઞોનો સંપર્ક કરી શકાય છે.. અને આ તજજ્ઞનું માર્ગદર્શન તથા સારવાર મળી શકે છે. તજજ્ઞો દ્વારા ઇ-પ્રિસ્ક્રીપ્શન ફોનમાં એસ.એમ.એસ. થી દર્દીને મળી જાય છે. આ ઇ-પ્રિસ્ક્રીપ્શન કોઇપણ સરકારી દવાખાનામાં બતાવવાની નિઃશૂલ્ક દવાઓ પણ મળી જાય છે.
ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવા એટલે લાંબી લાઇનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ.. અને સમય અને લોકોના વધુ સંપર્કમાં આવવામાંથી પણ મુક્તિ….. આ ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવા તમામ જનતા માટે ખૂબ જ લાભદાયી છે. જેનાથી પ્રજાનો તજજ્ઞોના કન્સલ્ટન્ટેશનમાં થતો ખર્ચ નિવારી શકાય છે. સિવિલ હોસ્પિટલ તથા અન્ય મોટી હોસ્પિટલમાં થતી ભીડ પણ અટકાવી શકાય છે. અત્યારના કોરોના પેન્ડેમિકના સમયગાળામાં રોગચાળાના અટકાયત માટે તે અગત્યનું સાધન પુરવાર થશે. કોવિડના દર્દીઓ માટે તે સંજીવની સાબિત થશે. જામનગરની જનતા આ ઇ- સંજીવની ઓ.પી.ડી. એપ ડાઉનલોડ કરી મહત્તમ ઉપયોગ કરે અને નજીકના સરકારી દવાખાના પરથી નિ:શુલ્ક દવા મેળવે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.