Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુંનો રોગચાળો સતત ને સતત વધી રહ્યો છે, છતાં પણ આરોગ્યતંત્ર આંકડાઓ છુપાવી ને શું સાબિત કરવા માંગે છે તે સમજાતું નથી, દરરોજ માત્ર પ્રસિદ્ધિ પૂરતા દવાનો છટકાવ, આરોગ્યલક્ષી સમજણ વગેરે કામગીરી કરી તંત્ર હાથ ખંખેરી નાખે છે, તેની સામે જામનગરમા ડેન્ગ્યુનો હાહાકાર વધી રહ્યો છે, જામનગર ગ્રામીણ વિસ્તારમાં ડેન્ગ્યુંના ૬૫ કેસો પોજીટીવ નોંધાયા છે, તેમ જીલ્લા આરોગ્ય અધિકારી બથવાર કહે છે, તો જામનગર શહેરમા ડેન્ગ્યુના આજ દિવસ સુધીના ૪૨૦ કેસો નોંધાયાનું સતાવાર જાણવા મળે છે, પણ જીલ્લા આરોગ્ય વિભાગ અને શહેર આરોગ્ય વિભાગ ડેન્ગ્યુંના રોગચાળા પર જાણે ઢાંકપીછાડો કરવા માંગતું હોય તેમ એક પણ મોત ડેન્ગ્યુંને કારણે ના થયાનો રાગલાપ આપે છે, જો આવું હોય તો સરકારી હોસ્પિટલમાં આવેલા ડેન્ગ્યું પોજીટીવ ના રીપોર્ટ બાદ જે દર્દીઓએ દમ તોડી દીધો તે દર્દીઓના ડેન્ગ્યુંના પોજીટીવના રીપોર્ટ ખોટા હશે…?
-ખાનગી હોસ્પિટલો કેસોની માહિતીના મોકલે તો શા માટે પગલા નથી લેતા..?
નિયમ મુજબ જયારે કોઈ ગંભીર રોગચાળો હોય અને ખાનગી તબીબને દર્દીની સારવાર દરમિયાન સામે આવે જેમ કે ડેન્ગ્યું, સ્વાઈનફ્લુ, મેલેરિયા, કોલેરા જેવા રોગોમાં ખાસ ત્યારે જામનગર મનપાના આરોગ્ય વિભાગ અને જીલ્લા આરોગ્ય વિભાગને જરૂરી સંકલન અને રોગચાળો અટકાવવાના પગલે દર્દીની નામ સરનામાં સાથેની માહિતી મોકલવાની થતી હોય છે, પણ અમુક ખાનગી તબીબો આવી કોઈ સુચનાને ના અનુસરીને પોતાને તીસમારખા સમજી રહ્યા છે, તેના પર પગલા લેવાઈ તે પણ જરૂરી છે. જો આ રીતે નિયમ મુજબ સરકારી આરોગ્ય તંત્રને રીપોર્ટ કરવામા નહિ આવે તો રોગચાળાને કાબુમાં લેવામાં સરકારી તંત્ર પણ નિષ્ફળ રહેશે..