Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લા પંચાયતનાં સમગ્ર તંત્ર અને વહીવટને સાવ રેઢિયાળ ન લેખાવીએ તો પણ તેને ઉદાસીન અને ચીલાચાલુ તો લેખાવી શકાય તેમ છે જ ! કારણ કે, અત્યાર સુધીમાં બંને મુખ્ય પક્ષો અહીં રાજ કરી ચૂક્યા છે પરંતુ અત્યાર સુધીની એક પણ શાસકપાંખે જામનગર જિલ્લા પંચાયતને નોંધપાત્ર બનાવી નથી. જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અસંખ્ય સમસ્યાઓ છે ! અને આ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થવા પામી નથી ! જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અદભૂત વિકાસ તો બહુ દૂરની વાત છે ! જેને કારણે નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અસંખ્ય પડકારો હોવાનું દેખાઈ રહ્યું છે.
જામનગર જિલ્લામાં શિક્ષણની વાત કરો કે આરોગ્યની, સિંચાઈની સુવિધાની વાત કરો કે ગ્રામ્ય માર્ગોની, ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિભાગોમાં સ્ટાફની અછતની વાત કરો કે આર્થિક ખેંચની, કે પછી ગેરરીતિઓ અને અનિયમિતતાઓની વાત કરો કે કોઈ પણ વિભાગની આધુનિકતાની — એક પણ વિભાગને આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ ટનાટન બનાવી શકવામાં તંત્રને સફળતા મળી નથી ! આપણાં ગ્રામ્ય વિસ્તારો ખાસ સ્વચ્છ પણ નથી, આધુનિક પણ નથી અને અભાવો તથા ભ્રષ્ટાચારથી મુક્ત પણ નથી. આપણાં તાલુકામથકોમાં જે કાંઈ ધમધમાટ જોવા મળે છે એ વહી રહેલાં સમયને કારણે અથવા લોકોની આપસૂઝને કારણે જન્મેલો ધમધમાટ છે. જેમાં સરકારી તંત્રોનુ ખાસ કોઈ યોગદાન નથી. ઈવન, સરકારી યોજનાઓ પણ તમામ લાભાર્થીઓ સુધી આપણે સરળ અને વ્યાપક રીતે પહોંચાડી શકતાં નથી ! અને, ગ્રામ્ય વિસ્તારોમાં ટેકનોલોજી તથા જાહેર પરિવહન જેવી બાબતો કે સ્વતંત્ર જળસ્ત્રોતની દિશામાં પણ ખાસ કોઈ કામગીરી થતી નથી !
અને, હજારો લોકોનાં પડતર પ્રશ્નો, ફરિયાદો અને રજૂઆતો જાણે કે અનાથ જ રહે છે ! વગદાર ન હોય તેવાં લોકોને ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા પંચાયત સુધી – કહો, કોણ સાંભળે છે ?! ગૌચરનાં દબાણો અને સરકારી કે પંચાયત હસ્તકની જમીનો પરનાં દબાણો જાણે કે વિષય જ નથી, એવી સ્થિતિ જોવા મળી રહી છે ! આ ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતોમાં બજેટ જૂઓ. સ્વભંડોળની રકમો ક્યાંય નોંધપાત્ર નથી હોતી. ગાંધીનગર જામનગરને ગ્રાન્ટ આપવામાં પણ કયારેય ઉદાર રહ્યું નથી અને જિલ્લા પંચાયતમાં મહત્વની જગ્યાઓ પર અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી તો જાણે કે – કોઈ ગંભીર બાબત જ ન હોય, એટલી હદે આ મુદ્દો ઉપેક્ષિત રહે છે ! કેમ ?!
-જિલ્લાનાં પડતર પ્રશ્નો અને રજૂઆતો પર પણ ધ્યાન આપવામાં આવશે : DDO
માય સમાચાર ડોટ ઈન સાથેની વાતચીતમાં ડીડીઓ વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું છે કે, જિલ્લામાં નવાં કામો હાથ ધરવામાં આવશે, સરકારની વિવિધ યોજનાઓનો અસરકારક અમલ કરાવવામાં આવશે તેમજ જિલ્લાનાં પડતર પ્રશ્નો અને રજૂઆતો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.