Mysamachar.in-જામનગર:
કોરોના વાઈરસની દહેશત છેલ્લા થોડા દિવસોથી માંડ ઓછી થતી હતી ત્યાં જ કોરોનાના નવા ઓમીક્રોન વોરીયેનટે હાહાકાર મચાવી દીધો છે, હાઈ રિસ્ક જાહેર કરેલા કન્ટ્રીમાંથી ભારતના જુદા જુદા રાજ્યો અને જીલ્લામાં આવી રહેલ લોકોમાં આ ઓમીક્રોન વોરિયન્ટ જોવા મળે છે, જો કે હજુ સુધી છૂટક છૂટક કેસો જ દેશમાં જોવા મળ્યા છે, એવામાં ગુજરાત બે દિવસ પૂર્વે રાજ્યનો પ્રથમ ઓમીક્રોન દર્દી જામનગરમાં નોંધાતા જામનગરથી માંડીને ગાંધીનગર સરકાર સુધી આ બાબતની ગંભીરતાથી નોંધ લેવાઈ છે,
ઓમીક્રોન આવેલ વૃદ્ધ દર્દી તો હાલ ડેન્ટલ કોલેજ ખાતેના અઈસોલેશન વોર્ડમાં છે, પરંતુ આજે સવારે આ વિસ્તારના કોર્પોરેટર એટલે કે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનબ ખ્ફીએ જે માહિતી સામે લાવી તે આરોગ્ય વિભાગની ચિંતા વધારનારી બની છે, જે વૃદ્ધનો ઓમીક્રોન વોરીયન્ટ પોજીટીવ આવ્યો તે જ્યાં રોકાયા તે ઘરે મહિલા ટ્યુશન કલાસીસ ચલાવતા હોવાની માહિતી મહિલા કોર્પોરેટર દ્વારા જાહેર કરવામાં આવતા ચકચાર મચી છે.આ વિસ્તારના કોર્પોરેટર જેનબ ખફીએ આ બાબતને સામે લાવી કમિશ્નર અને મનપાના આરોગ્ય વિભાગ સુધી આ માહિતી પહોચાડી છે.જેને આધારે મનપા તંત્રએ તેના ઘરે ટ્યુશનમાં જતા સાત બાળકોને ઓળખી કાઢ્યા છે અને સાતેયના કોરોના ટેસ્ટ કરી હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.અને તેમને શાળાએ જવાનું પણ બંધ કરાવેલ છે
ઉલ્લેખનીય છે કે ઝીમ્બાબ્વેથી વાયા દુબઈ થઇ અમદાવાદ આવેલ 72 વર્ષીય વૃદ્ધનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેઓ નવા ઓમીક્રોનનો પોજીટીવ હોવાનું સામે આવ્યું હતું, કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ પરની સેટેલાઈટ સીટી સોસાયટીમાં રહેતા પરિવારની આખી ગલી કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવી છે. ગઈકાલે આ પરિવારમાંથી અન્ય બે લોકોના કોરોના રીપોર્ટ પણ પોજીટીવ આવ્યા બાદ તેમાં ઓમીક્રોન વોરિયન્ટ છે કે કેમ તેની તપાસણી અર્થે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે અને સંભવત આવતીકાલ સુધીમાં તે રીપોર્ટ જાહેર થઇ જશે.