Mysamachar.in-જામનગર:
જામનગરમા તાજેતરમા દેવુભાના ચોકમા ધસી પડેલા મકાન અને ત્રણ જીંદગી હોમાઇ તે કરૂણ ઘટના આંખ ઉઘાડનારી છે, પરંતુ આ ઉઘડેલી આંખથી હવે તકેદારી લેવાય તો કંઇ શીખ્યા ગણાય તંત્ર એ પણ આ બાબતે જરૂરી પગલા લેવા ઘટે, સામાન્ય રીતે આગ અકસ્માત જેવી કોઇપણ દુર્ઘટના બને ત્યારે થોડો સમય ગાજતો વિષય અને તંત્રો દ્વારા બનતી તપાસ કમીટી એકાદ ઉપર ટોપલો ઢોળી થોડો સમય શુળીએ ચડાવવા વગેરે બધુ જ બને છે, પરંતુ તેમાંથી કાયમી શીખ લેવાતી નથી અથવા તંત્ર લોકોની ટુંકી યાદશક્તિનો ગેરફાયદો લે છે તેમ પણ કહી શકાય,
દર વખતે સો સવાસો જર્જરીત બાંધકામોને નોટીસ ફટકારી સંતોષ લેતુ ટીપીઓ કે એસ્ટેટ વિભાગ દરેક નવા બાંધકામ વધારાના બાંધકામ વખતે ચકાસવા જતુ નથી ઉપરથી જવાબદારી એ બાંધકામ માટે નિયુક્ત આર્કીટેક્ટ ઉપર ઢોળે છે, જામનગરની ભૌગોલીક સ્થિતિ ઋતુઓની અનિયમીતતા જમીનનો પ્રકાર માળખુ મટીરીયલ બેઝ ભાવિ જોખમો વગેરે બાબતો અંગે લોકોમા જાગૃતિ આવે તે માટે કંઇક ઠોસ આયોજનો કરવાની તાતી જરૂર છે,
એ સિવાય લોકોના દુકાન ઘર ઓફીસ આજુબાજુનુ કંઇ નુકસાન કારક સ્થાયી અસ્થાયી સ્ટ્રક્ચર કે ખોદાણ કે પાઇપ સહિતની લાઇનો ઝળુંબતી વીજલાઇનો જ્વલનશીલ ચીજ વસ્તુ સહિતના જોખમ બાબતે લોકો જાગૃત થાય કાળજી રાખી શકે તેવુ માર્ગદર્શન અવારનવાર આપવા જોઇએ તેવી માંગણી સાથે આવા લાલબતી સમાન કિસ્સામાં થી કંઇક શીખામણ લેવા તંત્રને ઢંઢોળાઇ રહ્યુ છે.