Mysamachar.in-જામનગર
ડો.વિજય પોપટ નામ આવે એટલે લગભગ મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ એટલે કે જામનગર, ગુજરાત નહિ પણ ભારતમાં પણ આ નામથી અજાણ હોય તેવું બને નહિ…ડો.વિજય પોપટ એવું વ્યક્તિત્વ છે જે જામનગરનું નામ હમેશા મેડીકલ ક્ષેત્રને લઈને રોશન કરતા રહ્યા છે, જેવું નામ તેવા જ ગુણ..માટે જ હમેશા “વિજય” હમેશા ડો.વિજય પોપટનો પર્યાય રહ્યા છે, વ્યક્તિત્વ ક્યારે નિખરે જ્યારે તેમાંના સદગુણ અને સિદ્ધી બોલે વ્યક્તિ ન બોલે, જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડો. વિજય પોપટ જેઓ મેડીકલ કોલેજમા પ્રોફેસર છે પેથોલોજીના હેડ છે, થોડા સમય પૂર્વે જ તેવો નેશનલ આઈએમએના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચુંટાઈ આવ્યા હતા, માત્ર ચૂંટાઈ આવ્યા એટલું જ નહી તેમને આઈએમએના ઈતિહાસમાં સૌથી વધુ 91.17 ટકા મત મળ્યા હતા અને તેવોએ તે તબક્કે પણ ના માત્ર જામનગર પરંતુ સમગ્ર ગુજરાતના તબીબી ક્ષેત્રનું નામ ભારતકક્ષાએ રોશન કર્યું હતું.આ સફળતાને વધુ એક વખત ચાર ચાંદ ત્યારે લાગ્યા જયારે નીર્વીવાદિત રીતે ડો.વિજય પોપટે પોતાના મેડીકલ ફેકલ્ટી ડીન તરીકેના પદની ગરિમા જાળવી રાખતા તેવોને સતત બીજી વખત આ હોદા પર રીપીટ કરવામાં આવ્યા છે.
ડો.વિજય પોપટની વિજય સફર અવિરત રહી હોય તેમ સમગ્ર સૌરાષ્ટ્રમાં જેને ખુબ મોભાદાર સ્થાન માનવામાં આવે છે અને રાજ્યના મુખ્યમંત્રી પણ આ હોદ્દા પર મહોર લાગે તે પહેલા એક વખત પોતાની નજર કરતા હોય છે, અને બાદમાં જ આ નામ પર આખરી મહોર લાગતી હોય છે તેવું સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મેડીકલ ફેકલ્ટીના ડીન તરીકે તેવો વર્ષ 2018 માં આરૂઢ થયા બાદ ફરી 2021માં પણ યથાવત રહ્યા છે,
ડો.વિજય પોપટ સૌથી મોટો ગુણ કે તેઓ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે તેમની પ્રગતિએ તેમના સંકલ્પ બળનુ પરિણામ છે અભ્યાસ કાળથી જ તેઓ હંમેશા લોકો વચ્ચે રહ્યા અને લોકપ્રિય રહ્યા છે આ લોકપ્રિયતા જાળવી રાખવી અઘરૂ છે તે કપરૂ કાર્ય સદાય ડો.પોપટે સહજતાથી અને સદાય સ્મિતથી મેન્ટેઇન કર્યુ છે, અને તેના ફળ સ્વરૂપ અને તેની કાર્યદક્ષતાને જોતા તેવોને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મેડીકલ ફેકલ્ટીના ડીન તરીકે રીપીટ કરવામાં આવ્યા છે.
-કોરોનાકાળમાં પોતાના વિભાગની જવાબદારી પણ સુપેરે નિભાવી રહ્યા છે ડો.પોપટ
જામનગરની જી.જી.હોસ્પિટલના પેથોલોજી વિભાગના વડા પ્રોફેસર ડો.વિજય પોપટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીના ડીન પણ છે. વળી તેઓ જામનગરની જીલ્લા કોવિડ હોસ્પિટલની તમામ લેબોરેટરી સર્વિસિઝના વડા પણ છે અને તેમની રાહબરી હેઠળ 24 કલાક લેબોરેટરી સેવા ચાલી રહી છે, વિવિધ જવાબદારીઓ સંભાળતા ડો.વિજય પોપટ કોરોના મહામારીમાં તેમના હસ્તકના પેથોલોજી વિભાગની ભૂમિકા સમજાવતાં કહે છે કે, માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા બેકટેરિયા-વાયરસ શોધવાનું કામ થાય છે. ચેપ લાગ્યો છે કે કેમ તે નકકી કરવામાં આવે છે. આ તપાસના અહેવાલના આધારે તબીબો દર્દીને એન્ટી બેકટરિયલ કે એન્ટી વાયરલ દવા આપવી કે નહી તે નકકી કરીને સારવાર કરતાં હોય છે. જયારે અમારા પેથોલોજી વિભાગની લેબોરેટરીમાં કોરોનાના દર્દીઓના લોહીના વિવિધ પરિક્ષણો-જેવા કે, કિડની તથા લીવરના કામકાજની તપાસ, ઈન્ફેક્શનમા વધતા કે ઘટતા લોહીના કણોની તપાસ, શરીરમાં લોહી ગંઠાઈ જવાની તપાસ અને કોરોનાના વિવિધ માર્કસની તપાસ વિગેરે કરવામાં આવે છે.
દર્દીના રોગની તપાસ થાય છે. તેમના રોગની માત્રા કેટલી છે, બિમારી ગંભીર છે કે નહી તેની તપાસ કરવામાં આવે છે. પેથોલોજી વિભાગના આ પરિક્ષણના આધારે તબીબો દ્વારા યોગ્ય નિર્ણય લઇ સારવાર કરવામાં આવે છે. કોરોનાની આ મહામારી દરમિયાન હજારોની સંખ્યામાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા તથા કોરોનાગ્રસ્ત દર્દીઓના બ્લડની તપાસ પેથોલોજી વિભાગમાં કરવામાં આવી રહી છે.