Mysamachar.in-જામનગર
જામનગર લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ તરફ જતા રસ્તા પર પાણી ભરેલા એક ખાડામાં અંદાજે 20 થી 22 વર્ષની યુવતીની લાશ સળગેલી હાલતમાં પડી હોવાની માહિતી પંચકોશી બી ડીવીઝન પોલીસને મળતા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ કરતા યુવતીની ઉમર અંદાજે 20 થી 22 વર્ષની હોવાની અને તેણીને સળગાવી દીધા બાદ નજીકના પાણીના ખાડામાં ફેંકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે મોકલ્યો છે.
આ અંગે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ તે મુજબ મૃતક યુવતી ભારતી ઉર્ફે આરતી જીવરાજભાઈ હિંગળા નામની 21 વર્ષીય યુવતીની હોવાનું ખુલવા પામ્યું છે.એપલ ગેઇટ 1 થી બાલાર્ક કારખાનાની દીવાલ નજીક પાણીના ખાડામાંથી આજે બપોરે આ મૃતદેહ મળી આવ્યા બાદ શકદાર તરીકે પોલીસ ફરિયાદમાં કરણ શંકર સાદિયાનું નામ દર્શાવામાં આવ્યું છે.તેને અથવા તેના કોઈ મળતિયાઓ દ્વારા આ યુવતીનું કોઈપણ રીતે મોત નિપજાવ્યા બાબતે પંચકોશી બી ડીવીઝનમાં હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.અને આ ગુન્હામાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યાના અહેવાલ મળી રહ્યા છે.