Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને એવા સાંસદ મળ્યા છે, જે લોકોના પ્રશ્નો માટે સતત એલર્ટ જ હોય છે, એવામાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે ત્યારે આ ગામોની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઇ લોક સંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને લોકો પાસેથી શું નુકશાન થયું…? હાલની પરિસ્થિતિ કેવી..? તે સહિતની તમામ બાબતોની માહિતી મેળવી તેમજ વળતર સહિતના પ્રશ્ને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
સાંસદએ જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ તથા કાલાવડ તાલુકાના, અલીયા, મોટી બાણુગર, રામપર, ધુતારપર, ધુળશિયા તેમજ કાલાવડ ગામની મુલાકાત લઇ અહીં તાત્કાલિક ધોરણે પશુ, મકાન, ઘર વખરી, સંપતિ વગેરેની સર્વે અંગેની કામગીરી હાથ ધરવા, રોગચાળો ન ફેલાય તે માટે પશુઓના મૃતદેહો નિકાલ કરવા તેમજ દવાઓનો છંટકાવ કરવા, ગંદકી દૂર કરવા, ફૂડપેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવા સહિતના મુદ્દે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તાકીદે ઉપરોક્ત બાબતો અમલમાં લાવવા સૂચન કર્યું હતું.
સાંસદ પૂનમબેન માડમએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે સર્વે સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તમામ મદદ પુરી પાડવા કટિબદ્ધ છે. આ મુસીબતના સમયમાં એક પરિવાર બની આ મુશ્કેલીમાંથી બહાર નીકળશું. સરકાર હંમેશા લોકોની પડખે ઉભી છે, તેમ જણાવી તમામ પ્રકારે મદદરૂપ થવાની સાંસદ પૂનમબેને ગ્રામજનોને ખાતરી આપી હતી.જેનાથી ગ્રામજનોમાં સંતોષ જોવા મળ્યો હતો
આ મુલાકાતમાં સાંસદ પૂનમબેન માડમ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય, પ્રાંત અધિકારી અક્ષય બુદાણીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બથવાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા, મામલતદાર ગ્રામ્ય, તાલુકા વિકાસ અધિકારી, પશુપાલન વિભાગ, પી.જી.વી.સી.એલ વિભાગ તથા સંગઠનના પ્રતિનિધિઓ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ જોડાયા હતા.