Mysamachar.in-જામનગર:
જામજોધપુર તાલુકાના વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ સભ્ય જામનગરની વર્ષ 2019/20 ની ગ્રાન્ટ તેમજ પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન જામનગરની કોવિડ-19ની ગ્રાન્ટમાંથી 2 નવીન અદ્યતન એમ્બ્યુલન્સનું સાંસદ પૂનમબેન માડમ દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતું કે પોતાના વિસ્તારની જરૂરિયાતોને ઓળખી તાત્કાલિક એ સુવિધા ઉપલબ્ધ કરાવવી અને પોતાના વિસ્તારનો અવાજ મજબૂતીથી જે તે મંચ સુધી પહોંચાડી વધુમાં વધુ લોક સુખાકારી ઉપલબ્ધ કરાવવી એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રાથમિક ફરજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ દેશમાં પ્રથમ વખત એવું બન્યું છે કે આરોગ્યને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી હોય.આરોગ્ય માળખાને વધુ મજબુત બનાવવા સરકાર દ્વારા વિશેષ બજેટની પણ જોગવાઈ કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં ભારત જેવું સુદ્રઢ આરોગ્ય તંત્ર અન્ય ક્યાંય જોવા ન મળે એ દિશામાં દેશ આજે આગળ વધી રહ્યો છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ તથા પી.એચ.સી.-સી.એચ.સીનું આધુનિકીકરણ કરી સરકાર દેશના આરોગ્ય માળખાને વધુ ઉંચાઇ ઉપલબ્ધ કરાવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ નવીન એમ્બ્યુલન્સના લોકાર્પણથી વાંસજાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વાંસજાળીયા, સતાપર, ઉદેપુર, તરસાઇ, જામ સખપુર તેમજ પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના પરડવા, પાટણ, અમરાપર, વરવાળા, મહીકી તથા આજુબાજુના 15 થી વધુ નેશ વિસ્તારોની આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉમેરો થશે.