Mysamachar.in-જામનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મેઇક ઇન ઇન્ડીયાને પ્રાધાન્ય આપવા વોકલ ફોર લોકલનુ આહવાન કર્યુ છે, જેના આદર સ્વરૂપે જામનગર સાંસદ પૂનમબેન માડમએ એક અખબારી યાદી દ્વારા તેમજ તેઓના જુદા-જુદા પ્રવાસ તેમજ મુલાકાતો દરમ્યાન તેમજ કાર્યક્રમો વખતે સ્થાનિક ઉત્પાદનને અપનાવવા અનુરોધ કર્યો છે કે દિવાળી તહેવારની નાનામા નાની હેન્ડીક્રાફ્ટની સુશોભનની કે ઘર ઓફીસની ચીજવસ્તુઓ આપણા સ્થાનિક કલા કસબી અને શ્રમિકો તેમજ કારીગરો-કલાકૃતિ બનાવનારો તેમજ માટી-કપડા-શણ-ડાળી-પાંદડા વગેરેમાંથી સુંદર સર્જન કરવા જહેમત ઉઠાવનાર બહેનો-ભાઇઓ-બાળકો-વડીલોએ જે વિવિધ ચીજ વસ્તુઓ બનાવી છે, તેનો પ્રચાર થાય તેની ખરીદી થાય તે આવકાર્ય છે તેવો નમ્ર અનુરોધ કર્યો છે,
આ તકે તેઓએ અમુક સ્થળોએ બનેલી વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ માટેની જહેમત પણ ખૂબજ સરાહનીય ગણાવી છે, તેમજ પ્રધાનમંત્રીના સંસ્કૃતિ જતન અને પરંપરા જતનના આહવાનને સન્માન આપી સાંસદ પૂનમબેન માડમએ રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતિઓ તેમજ ઉત્પાદનો વિશે જાણકારી મેળવીને આયોગની અથાગ જહેમત ખૂબજ બિરદાવવા લાયક ગણાવી છે,
સનાતન સંસ્કૃતિમાં ગાયમાતાને “કામધેનુ” તરીકે વિશિષ્ટતા આપી છે, તેને સાકાર કરવાના ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા પરંપરાનુ જતન કરવાના ભગીરથ પ્રયાસ સ્વરૂપે ગાયના ગોબરમાંથી બનેલા 33કરોડ દિવા, “કામધેનુ દિપાવલી અભિયાન” ના ભાગરૂપે આ તહેવારોમાં પ્રગટે તેવી સરાહનીય જહેમત ઉઠાવાઇ છે, જે અંગેની માહિતીઓ રૂબરૂ મુલાકાતમા મેળવીને પૂનમબેન માડમએ આ અથાગ જહેમત બદલ આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથીરીયાને સન્માનપુર્વક બિરદાવ્યા હતા, તેમજ આ દીવડા પ્રગટાવવા સૌને અનુરોધ કર્યો હતો તેમજ ગાય માતાના મહત્વને આપણે સૌ સાથે મળી વધુને વધુ ઉજાગર કરતા જ રહીએ તેવુ આહવાન કર્યુ છે,
આ ઉપરાંત આ તકે વિશેષમા સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યુ છે કે સ્થાનિક નાના કારીગરો દ્વારા નાના પાયે થયેલી રચનાત્મક જહેમતને પ્રોત્સાહન અપાય તો તે તમામ પરિવારોની દિવાળી ખરેખર રોશનીમય બની શકે છે, માટે તેઓના જીવનમા ખુશી અજવાળુ લાવવા વોકલ ફોર લોકલ નો ફરીથી સાંસદ પૂનમબેન માડમએ અનુરોધ કર્યો છે, જેમાં ગાયના ગોબરમાંથી બનેલા દીવડા પ્રગટાવવાથી સંતોષનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. સાથે સાથે વોકલ ફોર લોકલને પ્રધાન્ય આપવા પર વધુ ભાર મુક્યો છે, કેમકે તેનાથી સ્થાનિક વેચાણ વધતા સૌ કસબીઓનો ઉત્સાહ વધશે રાષ્ટ્રના અર્થતંત્રને ગતિશીલ બનાવી રાષ્ટ્રની સેવા કરી ગણાશે તેમજ પરંપરાના જતનનો સંસ્કૃતિના આદરનો પણ અનુભવ થશે.