Mysamachar.in-જામનગર
જામનગર નજીક આવેલા મોરારદાસ ખંભાલીડા ગામે ગઈકાલે અત્યંત દુઃખદ કહી શકાય તેવી ઘટના સામે આવી હતી જે ભલભલાનું કાળજું કંપાવી દે તેવી હતી, જેમાં એક માતાએ પોતાનાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી દેતાં તેમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. સંતાનોને કૂવામાં ફેંક્યાં બાદ માતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું, જોકે તેનો આબાદ બચાવ થયો હતો, પરિણીતાનો પતિ ત્રણ મહિનાથી વતનમાં ગયો હતો, પરત ના આવતો હોવાથી લાગી આવવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ત્રણ સંતાનોના મોત બાદ પોલીસે માતા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરારદાસ ખંભાલીડામાં વાડીમાં આવેલા કૂવામાં જે ત્રણ માસૂમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે,જેમાં સૌથી મોટી પુત્રી રિયાની ઉંમર 4 વર્ષે, ત્યાર બાદની પુત્રી માધુરીની ઉંમર અઢી વર્ષ અને સૌથી નાના પુત્ર કનેશની ઉંમર તો માત્ર આઠ મહિના જ હોવાનું સામે આવ્યું છે. ત્રણેય માસૂમના મૃતદેહ કૂવામાંથી બહાર કઢાતાં ફાયરબ્રિગેડના જવાનો અને ગ્રામજનો હ્રદય પણ દ્રવી ઉઠ્યા હતા. મહિલાએ પહેલાં ત્રણેય બાળકોને પણ કૂવામાં ફેંક્યાં હતાં, જેમાં ત્રણેયનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જો કે મહિલાનો બચાવ થયો હતો જો કે, હવે પોલીસે દ્વારા માતા સામે તેમના જ ત્રણ સંતાનોની હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધવામા આવ્યો છે.