Mysamachar.in-મોરબી:
ગત્ ત્રીસમી ઓક્ટોબરે મોરબીમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનાનાં હીબકાં હજુ પણ સંખ્યાબંધ પરિવારોમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સંભળાઈ રહ્યા છે. બીજી બાજુ, સંબંધિત તંત્રો દ્વારા તપાસનો દૌર તથા અદાલતી કાર્યવાહીઓ આગળ વધારવામાં આવી રહી છે. અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)એ સમગ્ર ઘટનાની તપાસ અર્થે પોતાનો પ્રાથમિક રિપોર્ટ પોલીસતંત્રને આપી દીધો છે પરંતુ હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. વિસ્તૃત તપાસ માટે FSL દ્વારા શનિવારે સાંજે મોરબી ખાતેથી તૂટેલાં પુલનો એક ટ્રક જેટલો ભંગાર ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે. જ્યાં તપાસને આગળ વધારવામાં આવશે.
બીજી બાજુ, આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓની ધરપકડ થઈ છે જે પૈકી ચાર આરોપીઓનાં રિમાન્ડની મુદત શનિવારે પૂર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા હતાં પરંતુ અદાલતે વધુ રિમાન્ડની માંગણી નામંજૂર કરી, આ ચાર આરોપીઓને ન્યાયિક હીરાસતમાં મોકલી આપ્યા છે. ઓરેવા કંપનીનાં માલિક જયસુખ પટેલ સુધી પોલીસ, ઘટનાનાં આઠ દિવસ પછી પણ, પહોંચી શકી નથી. જયસુખ પટેલ ક્યાં હોય શકે ?! એ અંગે બિનસત્તાવાર અહેવાલો પ્રગટ થાય છે પરંતુ જયસુખ પટેલનાં સગડ અંગે પોલીસને હજુ સુધી કોઈ જ કડી મળી નથી, એવું હાલની સ્થિતિ જોતાં સમજાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનાની તપાસ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મોરબી પોલીસને મદદ કરશે અને જરૂરી માર્ગદર્શન પણ આપશે. જે ચાર આરોપીઓ હાલ ન્યાયિક હીરાસતમાં છે તેમાં ઓરેવા કંપનીનાં બે મેનેજર દિપક પારેખ અને દિનેશ દવે તથા બે સબ કોન્ટ્રાકટર પ્રકાશ અને દેવાંગ પરમાર ( બંને રહે. સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે. હાલની સ્થિતિ જોતાં એવું સમજાઈ રહ્યું છે કે, વિધાનસભા ચૂંટણી મતદાન સુધી આ પ્રકરણ સારી પેઠે ગાજતું રહેશે, પછી સૌ નવી સરકારની રચના અને ઉજવણીઓમાં વ્યસ્ત બની જાય એમ પણ શક્ય છે.