Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના પૂર્વ સાંસદ અને હાલ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા ભાણવડ મત વિસ્તારના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે તેમજ અન્ય સુવિધાઓનો લાભ મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે, માડમની રજૂઆતમાં જણાવ્યાનુસાર ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી સરકાર દ્વારા જે તે કર્મચારીઓના ગ્રેડ-પે અને ભથ્થામાં સુધારો કરવામાં આવેલ છે. રાજયના તમામ કર્મચારીઓના મળવાપાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાય રહે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકાર દ્વારા રાજયના તમામ પોલીસ કર્મચારી બાબતે સમાનતા નિભાવેલ નથી માટે ગુજરાત રાજય પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં આ પત્ર દ્વારા રજુઆત કરવા ફરજ પડી છે અને ગુજરાત રાજય પોલીસ કર્મચારીઓને પણ તેમની વિવિધ માંગણી મુજબ સુવિધાઓનો લાભ આપવો જોઈએ. જેમાં ગુજરાત પોલીસ કર્મચારીઓને નીચે મુજબની સુવિધાઓ આપવામાં આવે તે જરૂરી હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો છે.
ગુજરાત રાજયના એ.એસ.આઈ., કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ગ્રેડ–પે ખુબજ ઓછા છે જેના બદલે તેઓને 4200, 3600, 2800 ગ્રેડ-પે કરવામાં આવે.
ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓના મળતા વર્ષો જુના ભથ્થામાં વધારો કરવામાં આવે અને સાથોસાથ તેઓના ફરજનો સમય નક્કી કરવામાં આવે તે જરૂરી છે.
તેઓને ફરજ પર અન્ય જીલ્લા કે રાજયમાં તપાસ કે બંદોબસ્ત માટે જવા આવવા સરકારી વાહન વ્યવસ્થા તથા અન્ય ભથ્થાની સુવિધા આપવી જરૂરી છે, અને આ ભથ્થાઓ સીધા જ તેમના ખાતામાં જમા કરવામાં આવે.
સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ફરજ પર લેવાનો સમયગાળો, ઉપરાંત પોલીસ કર્મચારીઓની પોતાના વતન કે જીલ્લાની નજીક બદલી કરવી, નિશ્ચિત સમય મર્યાદા પહેલા બદલી ના કરવી વગેરે જેવા પ્રશ્નો બાબતે પણ યોગ્ય થાય તેવી રજુઆતો અમોને મળી છે તો યોગ્ય કરવા ભલામણ છે.
હાલ ગુજરાતના તમામ વિભાગોમાં થતા શોષણ સામે લડવા વિવિધ યુનિયનો બનાવવામાં આવેલ છે જેમાં ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર આપવો જરૂરી છે.રાજયમાં વસ્તીના પ્રમાણમાં પોલીસની સંખ્યા ઓછી હોવાના કારણે પોલીસ કર્મચારીઓને સતત નોકરીકરવી પડે છે. પોલીસ કર્મચારીઓ પાસેથી વધુ કલાક કામ લેવાના કારણે તેઓ માનસિક, શારીરિક અને સામાજીક સમસ્યાઓથી પીડાય છે.ત્યારે આ મામલે સરકાર ઘટિત કાર્યવાહી કરે તેવી માંગ ધારાસભ્ય વિક્રમ માડમે કરી છે.
જો કે સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતની ટીમ તેમણે કહ્યુ કે, જે કોઈ મુદ્દા છે તે અમારા ધ્યાને આવ્યા છે. તે બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જરૂરી પરિબળો સાથે ચર્ચા કર્યા બાદ સકારાત્મક પગલા લેવાશે. હર્ષ સંઘવીએ કહ્યુ કે, અમે આ મુદ્દાને પોઝિટિવ રીતે જોઈશું.