Mysamachar.in-જામનગર:
હાલમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ યાર્ડોમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવી છે, કોઈ ગામોમાં ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા નથી જતા, કોઈ યાર્ડોમાં લાઈનો લાગી છે, એવામાં આજે જામનગર જીલ્લાના કાલાવડ યાર્ડ ખાતે કાલાવડ ધારાસભ્ય પ્રવિણ મુસડીયા સહીતના સ્થાનિક આગેવાનો પહોચ્યા હતા, અને નાફેડ સહિતના અધિકારીઓ દ્વારા ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે,
કાલાવડ ધારાસભ્ય પ્રવીણ મુસડીયાએ “માયસમાચાર” સાથેની વાતચીતમાં કહ્યું કે મને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોની ફરિયાદો મળી રહી હતી, અને ખેડૂતોના પ્રશ્નો સાચા હોય તેથી હું આજે પોતે કાલાવડ યાર્ડ ખાતે આકસ્મિક મુલાકાતે પહોચ્યો હતો, જ્યાં ખેડૂતોને મોટી સંખ્યામાં મગફળી વેચાણ કરવા માટે બોલાવવામાં આવે છે, પરંતુ બધા ખેડૂતો એકીસાથે આવી ગયા બાદ બધાની મગફળી એકસાથે લેવામાં નથી આવતી, જેને કારણે ખેડૂતોને વાહનભાડા સહિતના ખર્ચ ચઢે છે, વધુમાં જયારે મગફળી વેચાણ માટે ખેડૂતનો વારો આવે ત્યારે કોઈ કારણો આગળ ધરીને ખેડૂતોની મગફળી રીજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.અને તે બાબત અયોગ્ય છે,
ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ આ અંગે સ્થળ પર હાજર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી અને ખેડૂતો સાથે વાતચીત કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓને પણ આં અંગે અવગત કરી ખેડૂતોને પડતી મુશ્કેલી તાકીદે દુર થાય અને ખેડૂતોને પુરતો ભાવ મળે ઉપરાંત જેટલા ખેડૂતોની જે દિવસ મગફળી લેવાની છે તેને જ ત્યારે જ બોલાવવામાં આવે સહિતની બાબતોએ કડક સુચના આપી હતી.અને ખેડૂતોની પરેશાની દુર ના થાય તો જરૂર પડ્યે આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી હતી.