My samachar.in:-જામનગર
દરવર્ષ ચોમાસું આવે એ પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે અડધા કરોડના ખર્ચે પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે, પણ આ કામગીરીને લઈને દરવર્ષે આક્ષેપો થતા રહે છે, એવામાં જામનગર મનપાની કમાન કમિશ્નર વિજયકુમાર ખરાડી સંભાળી રહ્યા હોય તેવોએ મીટીંગમાં જ અધિકારીઓને જણાવી દીધું છે કે પ્રિ મોન્સુનને નામે પૈસાનો વેડફાટ નહિ ચાલે નક્કર કામગીરી જોશે….માટે આ વખતે આ કામગીરી ખરેખર અસરકારક બનશે તેમ લાગે છે.જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત મહાપાલિકાના કમિશ્નરે અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં વરસાદી પાણીના નિકાલની કેનાલની સફાઇ સમયમર્યાદામાં કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ સાથે ભારે વરસાદ, પૂરની સ્થિતિને પહોંચી વળવા સુચારૂં વ્યવસ્થાની સૂચના આપી હતી..
આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇ શહેર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ન ભરાઇ તે માટે મંગળવારે મનપાના કમિશ્નરના અધ્યક્ષ સ્થાને મહાપાલિકાની જુદી-જુદી શાખાના અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી. જેમાં કમિશ્નરે ભૂગર્ભ શાખા હસ્તકની ચાલુ પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરી હતી.આ સાથે શહેરની વરસાદી પાણીના નિકાલની ખુલ્લી કેનાલની સફાઇ નિયત સમય મર્યાદામાં કરવા તાકીદ કરી હતી. તદઉપરાંત શહેરમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા વગેરેની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આનુસંગીક વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં મનપાની જુદી-જુદી શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતાં.