Mysamachar.in-અમદાવાદ
આજના સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના યુગમાં લોકો અજાણી વ્યક્તિ સાથે પણ ઝડપભેર પરિચયમાં આવી એકબીજા પર એટલો વિશ્વાસ મૂકી દે છે કે પછી ક્યારેક કોઈ ને કોઈ કારણોસર પસ્તાવાનો પાર રહેતો નથી, આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, શહેરના મણિનગરમાં રહેતી 33 વર્ષીય બે સંતાનોની માતાને સોશિયલ મીડિયા મારફતે એક યુવક સાથે પરીચય થયો હતો. બાદમાં બન્ને વચ્ચે વાતચીત થઈ અને ધીરે ધીરે આ વાતચીત પ્રેમમાં પરિણમી હતી, દરમિયાન મહિલાએ વાતચીતમાં તેના પ્રેમીને જણાવ્યું હતું કે, તેણીના પિતા કોલકતામાં શિક્ષક તરીકે નિવૃત્ત થયેલ છે અને તેમના ફંડના બચતના પૈસા મારી પાસે છે.
આ વાત જાણ્યા પછી સોશ્યલ મીડીયાના માધ્યમથી પ્રેમમાં પડેલ પ્રેમીની દાનત બગડતા તે મહિલા પાસે પૈસા માગતો હતો. જો કે મહિલાએ પૈસા આપવાનો ઈન્કાર કરતા પ્રેમી યુવકે જો તુ મને પૈસા નહીં આપે તો હું તારા પતિ સહીતના લોકોને આપણા સંબંધની જાણ કરી દઈશ તેવી ધમકી આપી પોતાની આબરૂ પણ સચવાઈ રહે અને ઘરસંસાર ન બગડે તે માટે મહિલા પૈસા આપવા સહમત થઈ હતી. બાદમાં પ્રેમી યુવકને થોડા પૈસા આપ્યા હતા, જો કે એક વખત પૈસા મળ્યા બાદ પ્રેમીએ વારંવાર બદનામ કરી દેવાની ધમકી આપીને મહિલા પાસેથી અલગ અલગ સમયે કુલ મળીને રૂપિયા 10 લાખથી વધુની રોકડ પડાવી લીધી જે પૈકી અમુક રકમ પ્રેમીએ તેના બેંક ખાતામાં અને અમુક તેના પિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
દરમિયાન મહિલાનો પતિ અને તેના સસરા પ્રેમીના ઘરે જઈને તપાસ કરતા તે મળ્યો નહતો પરંતુ તેના પિતાએ પૈસા લીધાનો એકરાર કરી તેમણે પૈસા પરત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ ધમકીઓ પણ આપવામાં આવી જેથી માનસિક તણાવમાં આવી ગયેલી મહિલાએ ગઈ તા26 મીના રોજ તેના ઘરમાં રૂમનો દરવાજો બંધ કરીને આત્મહત્યા કરવાના ઈરાદે 15 જેટલી ઉંધની ગોળીઓ ખાઈ લીધી હતી. દરમિયાન તેના પતિએ ઘરે જઈને મહિલાને રૂમનો દરવાજો તોડી બહાર કાઢી હોસ્પિટલ લઈ જતા તેનો બચાવ થયો હતો.ત્યારબાદ મહિલાએ તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.આમ આ કિસ્સો સોશ્યલ મીડીયાના માધ્યમથી એકબીજાના પરિચયમાં આવી અને આંધળો વિશ્વાસ કરનાર લોકો માટે લાલબતી સમાન છે.