Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં તા-13-09-2021 રોજ અતિવૃષ્ટિથી આવેલ પાણીના પુરથી અસરગ્રસ્ત થયેલ લોકોને હજી સુધી ઘરવખરી તેમજ મરણ પામેલ પશુઓના અસરગ્રસ્ત વિસ્તારમાં 30 થી 40% અસરગ્રસ્ત લોકોને સહાય ચુકવવામાં આવેલ નથી.તેવી રજૂઆત જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામ રાઠોડે કૃષિમંત્રીને પત્ર લખી કરી છે, તેવોએ કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે… આજે 25 દિવસ થવા છતાં હજુ પણ તંત્ર દ્વારા સહાય ચુકવવામાં આવેલ નથી. ખરેખર સરકાર દ્વારા પહેલા જે ઘરવખરી સહાયની રકમ રોકડા (કેશ ડોલ્સ) ત્રણ દિવસમાં ચુકવવામાં આવતી હતી તે હાલના સંજોગોમાં સરકાર દ્વારા અસરગ્રસ્ત લોકોના બેન્કોના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે અસરગ્રસ્ત લોકો બૅન્કોના ધક્કા ખાઈ અને ઘણી બધી રજુઆતો કરે છે તંત્ર કહે છે કે સહાય બેંકમાં જમા કરાવેલ છે. બેંકના જવાબદાર કર્મચારીઓ કહે છે કે હજી સુધી કોઈ રકમ જમા થઇ નથી.
જામનગર ગ્રામ્ય વિસ્તારને ગુજરાતમાં વધારેમાં વધારે નુકશાન થયેલ હોઈ તેથી અસરગ્રસ્ત લોકો જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રી તરીકે ઘણી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. જે ખેડૂતો તથા માલધારીઓના પશુઓ મરણ પામેલ છે તેણે પોતાની આજીવિકા રળવા માટે પશુઓ ખરીદવા છે પણ સરકારી તંત્ર દ્વારા 30 થી 40% લોકોને આજ દિવસ સુધી સહાય ચૂકવેલ નથી. ખેડૂતોની જમીન ધોવાણ તેમજ પાકને થયેલ નુકશાનીનું સર્વે પણ પૂરતા વિસ્તારમાં કરવામાં આવેલ નથી, જે વિસ્તારમાં સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે ત્યાં પણ હજી સુધી વળતર સહાય ચૂક્વેલ નથી જેથી આ મામલે તાકીદે યોગ્ય કરવા રજૂઆત કરી છે.