My samachar.in : જામનગર
જામનગર તાલુકાના મોટીબાણુંગાર ગામે ઉઘરાણીની માથાકૂટમાં યુવકની હત્યા કેસમાં અદાલતે આરોપી દંપતિને આજીવન કેદની સજા ફટકારી છે. આ પ્રકરણમાં પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે.મોટી બાણુંગાર ગામે મધ્યપ્રદેશથી વાડીમાં મજૂરી કામ માટે આવેલા કાજુભાઇ રામસીંગ નામના યુવકનો મૃતદેહ ગામ નજીક આવેલાખારીના તળાવમાંથી મળ્યો હતો. આથી પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમ્યાન રૂ.10000ની ઉઘરાણી માટે ગયેલા કાજુભાઇને દેવચંદ ઉર્ફે દેવા દિત્યાભાઇ અને તેની પત્ની મોટલી ઉર્ફે કારીએ પાઇપ અને પાવડના ઘા ફટકારી કાજુભાઇનું ઢીમ ઢાળી દીધું હતું. દેવચંદભાઇના સાળા અનસીંગે પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરી હતી. આથી પોલીસે દંપતિ સામે હત્યાનો અને અનસીંગ સામે પુરાવાનો નાશ કરવા સબબ ગુનો નોંધી ત્રણેયની ઘરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું. આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એસ.આર.દેવાણીની રજૂઆતો, સાહેદોના નિવેદનો, પુરાવા ધ્યાને લઇ આરોપી દેવચંદ અને તેની પત્નિને આજીવન કેદ અને સાળા અનસીંગને પુરાવાનો નાશ કરવા બદલ 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.