Mysamachar.in-જામનગર
શહેરના જુના ગામના અનેક વિસ્તારોના નગરજનો માટે આશિર્વાદ રૂપ બની રહેલી સીટી ડીસ્પેન્સરી ધ્વંસ થઇ જતા અનેક લોકો માટેની તબીબી સેવા ઠપ્પ થઇ ગઇ હતી, ત્યારે લાંબા સમય સુધી અહી પડીને પાદર થયેલા બાંધકામના સ્થાને હવે સુવિધાસભર હોસ્પીટલ બનવાની આશાઓ ઉજળી બની છે જે માટે નગરના જાણીતા લાલ પરિવારના દાતાનો સહયોગ મળતા કોર્પોરેશન દ્વારા પણ આ વિકાસકામ માટે ગતિશીલતા દાખવાઇ છે,
કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમા 49 કરોડથી વધુ રકમના જુદા-જુદા કામોને બહાલી આપવામા આવી હતી, જેમા જાણની આઈટમમાં આ નવા હેલ્થ સેન્ટરનો પણ સમાવેશ થયાનું જાણવા મળે છે, શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ)ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકા દ્વારા એપૃવ થયેલ પ્લાન મુજબ ગ્રાઉન્ડ ફલોરમાં પાર્કિંગ તથા ફર્સ્ટ ફલોર ઉપર પબ્લીક હેલ્થ સેન્ટરનું બાંધકામ કરી પબ્લીક હેલ્થ સેન્ટર બનાવી આપવા અંગે ટ્રસ્ટની ઓફર અન્વયે પબ્લીક હેલ્થ સેન્ટર બનાવવાનું મંજૂર કરવામાં આવ્યુ છે આ અંગેનું તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવશે. અને ડીસ્પેન્સરીનું નામ “કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી”રાખવામાં આવશે તેમ પણ જાહેર થયુ છે,
નગરના જુના વિસ્તારોમા સરકારી તબીબી સુવિધાઓ માટે કોર્પોરેશનની નાની-નાની ડીસ્પેન્સરીઓ છે ત્યારે નગરના જાણીતા વેપારી અગ્રણી તેમજ સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો.ના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ જીતેન્દ્રભાઈ લાલ દ્વારા આ અનોખી સ્થાયી સેવા પુરી પાડવા માટે રૂચી દાખવતા અહી સુવિધાસભર પબ્લીક હેલ્થ સેન્ટર જુના ગામના અનેક દર્દીઓ માટે ખુબ ઉપયોગી બની રહેશે તેવી આશા સેવાય છે.અત્રે એ બાબત સર્વવિદિત છે કે શહેર જીલ્લામાં આફતના કે જરૂરી મદદના કોઈપણ સમયે એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ લાલ, જીતેન્દ્રલાલ, મિતેશલાલ સહિત તેની ટીમો સાથે યથાયોગ્ય મદદ માટે ખડેપગે હોય છે.