Mysamachar.in:જામનગર
જામનગરમાં ગાંધીનગર વિસ્તાર નજીક જ્યારે વેસ્ટ ટુ એનર્જી (કચરામાંથી કાંચન-કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવી) પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે મહાનગરપાલિકાનાં અધિકારીઓ, પદાધિકારીઓ અને તત્કાલીન મુખ્યમંત્રી સહિત સૌએ આ પ્લાન્ટની પ્રશંસા ચાલીસાઓ મોટા અવાજે ગાયેલી ! આ સમૂહગાન વર્ષોથી બેસૂરૂ સાબિત થઈ રહ્યું છે ! જેનાં પરથી મહાનગરપાલિકાની આવડતનો અંદાજ લગાવી શકાય છે ! આ પ્લાન્ટ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં એક પણ દિવસ એવો પસાર થયો નથી, જે દિવસે આ પ્લાન્ટનાં નામનાં છાજિયાં લેવાયા ન હોય ! અને, છતાંય લાગતાં વળગતા સૌ લાજવાને બદલે ગાજી રહ્યા છે ! વિપક્ષ અને શાસકપક્ષ સૌએ ન્હોર ભરાવી જોયાં. સમસ્યા પ્લાન્ટ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી યથાવત્ ! ટૂંકમાં, અત્યાર સુધી સૌએ ટાઈમ વેસ્ટ કર્યો. સૌની એનર્જી વેસ્ટ થઈ રહી છે – આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં !
સાવ સાદો મુદ્દો એ છે કે, પ્રદૂષણો છોડતો કોઈ પણ પ્રોજેક્ટ વસતિ ધરાવતાં વિસ્તાર નજીક હોય જ નહીં. આ સામાન્ય સમજ, સામાન્ય જ્ઞાન છે. આ સામાન્ય સમજ, સામાન્ય જ્ઞાન એક પણ મહાનુભાવ ધરાવતાં નથી ! એ રેકર્ડ પર સાબિત થયું ! બીજો મુદ્દો : પ્લાન્ટની પ્રશંસાચાલીસાઓ ગાનારાઓએ પ્લાન્ટ શરૂ કરતાં પહેલાં પ્લાન્ટનાં અવાજ, દુર્ગંધ, ઝેરી ધુમાડો તથા ગંદા કચરાનાં રહેણાંક વિસ્તારમાંથી પરિવહન જેવાં મુદ્દાઓ અંગે શા માટે વિચાર્યું નહીં ?! અને, તે પછી પણ – આટલાં વર્ષોથી આ સમસ્યાઓ યથાવત્ શા માટે છે ?! સૌ અબૂધ હોય, એવી સ્થિતિ કેમ છે ?! આ પ્લાન્ટને કારણે પેદાં થયેલી સ્થિતિ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં કમિશનર સહિતના અધિકારીઓ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ આ સમસ્યા ઉકેલવા પિડીત નગરજનોને ઠાલાં આશ્વાસન, વચનો અને ખાતરીઓ આપી ચૂક્યા છે, છતાંયે આજની તારીખે પળોજણ એની એ છે !
હવે મુખ્યમંત્રી દરબારમાં મામલો લઈ જવાની વાતો ચાલી રહી છે ! અને, ગુજરાતનાં અન્ય શહેરોની સરખામણીએ જામનગરનાં નગરજનો ‘ટાઢા’ છે, એટલે આ પ્લાન્ટ ‘પાપ’ હોવાં છતાં આટલાં વરસોથી નગરજનોની છાતી પર ધમધમી રહ્યો છે ! શાસકો અને અધિકારીઓ ભાગ્યવાન છે – આ અર્થમાં. ગાંધીનગર સહિતનાં વિસ્તારોમાં હજારો નગરજનો આ પ્લાન્ટને કારણે અને અધિકારીઓ તથા શાસકોની અણઆવડતને કારણે વર્ષોથી નરકની યાતનાઓ વેઠી રહ્યા છે ! આખરે મહાનગરપાલિકા અને શાસકોથી નગરજનો થાક્યા, નગરજનો સમજી ગયા કે, સ્થાનિક સ્તરે કોઈ, કાંઈ કરી શકે એમ નથી ! તેથી હવે સૌ થાકીહારીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં દરબારમાં પહોંચ્યા છે. માત્ર 24 કલાકમાં જ 50 થી વધુ ત્રાસેલા નગરજનોએ ફોટા અને વીડિયો સાથે મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદો કરી છે. જોઈએ હવે, ગાંધીનગર શું નિર્ણય લ્યે છે ?!