Mysamachar.in-જામનગર:
ક્યારેક ક્યારેક એવા ઝઘડાઓ થતા હોય છે જેમાં વાતમાં કોઈ દમ ના હોય અને સામસામે આવી ગયેલ લોકો એકબીજાના જીવના તરસ્યા બની જાય છે, આવી જ નાની ઘટનાનું મોટું સ્વરુપ જામનગર શહેરમાં ગતરાત્રીના થઇ ગયું અને બનાવ હત્યામાં પલટાઈ ગયો, વાત એવી છે કે જામનગરની ડિફેન્સ કોલોનીમાં બાળકોના ઝઘડામાં મોટેરા બાખડી પડતા શુક્રવારની મોડીરાત્રે નાનકડુ ધીંગાણું ખેલાઈ ગયું હતું. પુત્ર અને પુત્રીની સાથે ધસી આવેલી માતાએ ડિફેન્સ કોલોનીમાં પ્રતિ પક્ષના પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પિતાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે પુત્રનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી,
આ હત્યા અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રાત્રીના 10.00 વાગ્યાના અરસામાં બાળકો અંગેની તકરારમાં ભરત રણમલ રૂડાચ તેમજ રાયસુર ઉર્ફે બોઘો માલદેભાઈ ગઢવીના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામા ધોકા-પાઇપ ઉડ્યા હતા. જેમાં ભરત રણમલ રૂડાચ નામના 28 વર્ષના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. ઉપરોક્ત મારામારીમાં મહિલાઓની પણ સંડોવણી હોવાથી બે યુવાનો તથા એક મહિલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી,
જે તમામને પણ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે જી.જી. હોસ્પિટલમાં તંગ વાતાવરણ બની ગયું હતું. ઉપરોક્ત ઘટનાની જાણ થતાં જામનગરનો સીટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો તેમજ એલસીબી અને એસઓજીની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સાથો સાથ જી.જી. હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હત્યાના બનાવની પાછળ બાળકો અંગેની તકરાર કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા બે વ્યક્તિને રાઉન્ડઅપ કરી લઇ વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.