Mysamachar.in-જામનગર:
કેટલાક લોકોને એવું લાગે છે કે કોરોના ચાલ્યો ગયો છે, ના પણ એવું નથી છેલ્લા કેટલાક દિવસોથી જામનગર શહેરમાં જોવા મળતા છુટા છવાયા કેસો તેમજ રાજ્યના અન્ય શહેરોમાં જોવા મળતા કેસો એ સ્પષ્ટ કરે છે કે આપની આજુબાજુ કયાંક તો હજુ કોરોના વાઈરસની હાજરી છે, એવામાં કોરોના મહામારી સામે લડવા કોરોના વેક્સીન લેવી જરૂરી બની છે, કેટલાય લોકો વેક્સીનના બન્ને ડોઝ લઇ અને કોરોના મહામારી સામેની લડતમાં સહભાગી થઇ અને કોરોનાને હરાવવા માટે આગળ આવ્યા છે, પણ હજુ કેટલાક લોકો તો એવા છે કે જેને પ્રથમ ડોઝ જ નથી લીધો, તો હદ થઇ ત્યારે કહેવાય કે એક ડોઝ લેવા માટે વેક્સીન સેન્ટર સુધી પહોચ્યા અને એક ડોઝ લઇ ચુક્યા બાદ બીજા ડોઝનો સમય થઇ ગયો હોવા છતાં પણ લેવા નથી જતા જે બાબત અતિ ગંભીર છે.વેક્સીનનો જથ્થો પુરતો છે ત્યારે જામનગર મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા ખાસ તો જે નાગરિકોને બીજો ડોઝ લેવાનો સમય થઇ ચુક્યો છે અને વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે આળસ કરી રહ્યા છે તેવા નાગરીકો સ્વયમ જાગૃતતા દાખવી વેક્સીન સેન્ટરો પર જઈ વેક્સીન લઇ અને સુરક્ષિત થવા ભારપૂર્વકની અપીલ કરવામાં આવી છે.
આજે મનપા દ્વારા જાહેર કરવામાં આવેલ યાદી મુજબ હાલમાં ગુજરાત રાજય સહિત જામનગર શહેરમાં કોવિડ–૧૯ મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેકસીનેશનની કામગીરી ચાલી રહેલ છે. તેમજ અત્યાર સુધીમાં જામનગર શહેરના નાગરિકોને કુલ 7,75,178 ડોઝ આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ ડોઝ 4,74,253 અને બીજો ડોઝ 3,00,925 આપવામાં આવેલ છે.
જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરના તમામ લોકોને કોવિડ-19 વેકસીન મળી રહે તે માટે મહત્તમ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હોલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વૈકસીનની કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમજ જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યકિતઓને 100% પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે વેકસીન મહાઅભિયાન પણ કરવામાં આવેલ છે.
જામનગર મહાનગરપાલિકા ધ્વારા કાર્યરત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, લાખોટા મ્યુઝીયમ, રણમલ લેક, તમામ સીવીક સેન્ટર, વોર્ડ ઓફિસ, માં કાર્ડ સેન્ટર, આધાર કાર્ડ સેન્ટર, શહેરમાં આવેલ જુદા–જુદા ગાર્ડન અને જામનગર મહાનગરપાલિકાની તમામ બિલ્ડિીંગમાં પ્રવેશ પહેલા કોવિડ વેકસીનેશનના સર્ટિફિકેટ બાબતે આગ્રહ રાખવામાં આવશે. આમ કોવિડ–19 વેકસીનેશન માટે લાયકાત ધારવતા 18 વર્ષથી વધુ ઉંમ૨ના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યક્તિઓને ઉપરોક્ત જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે નહી.જામનગર શહેરની જનતાને પોતાના રહેણાંક વિસ્તારમાં અને ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ વેકસીન મેળવી લે તે સુનિશ્ચિત ક૨વા જણાવવામાં આવે છે.