Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં જાહેરમાર્ગો પર ઉભી રહેતી નોનવેજ અને ઈંડાકરીની રેકડીઓને હટાવવાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ રહ્યો છે.અને રાજકોટ અને વડોદરા શહેરના મેયરોએ આગળ આવીને આ મામલે પહેલ કરી છે જેને રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બિરદાવી છે.એવામાં આજે જામનગરમાં મનપા વિપક્ષ નેતા અલ્તાફ ખફી,સાથે પૂર્વ વિપક્ષ નેતા અસ્લમ ખીલજી, કોર્પોરેટરો કાસમ જોખીયા, ધવલ નંદા, નુરમામામદ પલેજા, આનંદ રાઠોડ સહિતના કોર્પોરેટરોએ મેયરને આવેદનપત્ર પાઠવી અને ઈંડાકરીની રેકડીઓ શા માટે ના હટાવવી સહિતના મુદ્દે રજૂઆત કરી જે બાદ જામનગર હિંદુ સેના દ્વારા આ લારીઓ હટાવવા મુદ્દે મેયરને રજૂઆત કરવામાં આવી આ તમામ બાદ મેયરે પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે.
વિપક્ષ દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જાણવામાં આવ્યું છે કે એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સ્વરોજગારી માટે ઢોલ પીટે છે અને તાયફાઓ કરે છે. બીજી બાજુ જામનગરમાં જે નાના અને ગરીબ વર્ગના લોકો રેકડીઓ રાખીને ધંધો કરી રહ્યા છે.તેમને બેરોજગાર બનાવવાની આ નીતિરીતી છે. ઈંડાને માંસાહાર ગણવામાં આવેલ નથી તો તે નોનવેજ કેવી રીતે ગણાય?
નામદાર કોર્ટના અનેક ચુકાદાઓ છે. જે કાયદાથી જેતે વ્યક્તિનો કે અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે નહી ત્યાં સુધી ત્યાંથી હટાવી શકતી નથી એવા કેટલાય ચુકાદાઓ છે. તો શું નામદાર કોર્ટથી પણ ઉપલી સરકાર સત્તા છે? પ્રથમ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે બાદમાં આવા વિચાર કરવો જોઈએ.તેમ વિપક્ષના આવેદનપત્રમાં ઉલ્લેખ છે
તો બીજી તરફ જામનગર હિન્દુસેના દ્વારા આવી રેકડીઓ હટાવવાની જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જાણવામાં આવ્યું છે કે જામનગર એટલે કે અસંખ્ય મંદિરોનું શહેર કે જેને વર્ષોથી લોકો છોટીકાશી તરીકે ઓળખવામાં આવે છે,તેમાં કોઈપણ એવો રસ્તો બાકી નહીં હોય કે ત્યાં મંદિર કે ધાર્મિક સ્થાન ન હોય. ત્યારે બહારથી ઘણાબધા શ્રધ્ધાળુઓ છોટી કાશીમાં દર્શનાર્થે આવે છે, એવામાં જયાં જુઓ ત્યાં રસ્તા ઉપર સાંજ પડતાંની સાથે જ ઈડા નોનવેજની લારીઓના રાફળા ફાટી નીકળે છે. રાજકોટથી આવતા સમર્પણ સુધીના રસ્તાઓ જુઓ, બેડીથી માંડી લાલપુર બાયપાસ સુધીના રસ્તા જુઓ એટલું જ નહીં ધમધોકાર શહેરમાં વચ્ચે આવેલ બેડીનું નાકું, સાતરસ્તા, સરૂસેકશન રોડ, સાધના કોલોની રોડ, અંબર ટોકિઝ રોડ, પટેલ કોલોની વગેરે અનેક સ્થાનો પર ઈડા નોનવેજની લારીઓ ધમધમે છે. અગાઉ પણ જે.એમ.સી.માં હિન્દુસેના દ્વારા લેખિત માંગણી કરવામાં આવેલી હતી અને ફુડ વિભાગ દ્વારા પણ તપાસ થાય પરંતુ જે.એમ.સી. દ્વારા ઠોસ પરીણામ જાણવા મળેલ નહીં ભુતકાળમાં ઈડા નોનવેજની લારીઓ પર આવારા તત્વો દ્વારા ગુન્હાહિત પ્રવૃતિઓ થતી હોય છે જયારે સાતરસ્તા સર્કલ પાસે તો એક યુવાનની હત્યા પણ થઈ ગયેલ છે. ત્યારે શહેરમાં રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ ઈડા નોનવેજની લારીઓને દુર કરવા હિન્દુ સેના દ્વારા માંગણી કરવામાં આવી છે.
-મેયર બીનાબેન કોઠારીનું શું છે નિવેદન
આ સમગ્ર મામલે જામનગર મેયર બીનાબેન કોઠારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ઈંડાકરી અને નોનવેજની જાહેરરસ્તાઓ પરની લારીઓ અંગે કોર્પોરેટરો અને અલગ અલગ સમાજો પાસેથી ઈંડાકરીની રેકડીઓ જાહેરમાર્ગો પર રાખવી કે કેમ તે અંગેના સૂચનો માંગવામાં આવ્યા છે અને ઘણા બધા સૂચનો મળ્યા પણ છે આવેલ રજુઆતો સંદર્ભે બેઠક યોજી બાદમાં નિર્ણય લેવામાં આવશે તો નો હોકિંગ ઝોનમાં પણ ટ્રાફિકને નડતરરૂપ રેકડીઓ હટાવવા માટે નિર્ણયો લેવામાં આવશે તેમ મેયરે જણાવતા વધુમાં કહ્યું કે લોકલાગણી અને રજૂઆતોને ધ્યાને લઇ ઈંડાકરી અને નોનવેજની લારીઓ અંગે જરૂરી કાર્યવાહી થશે.