Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની ભૂર્ગભ શાખા વારંવાર કોઈને કોઈ બાબતોને લઈને વગોવાતી રહે છે, વર્ષે દહાડે કરોડો રૂપિયા કામો માટે ઓહ્યા કરી જતી ભૂર્ગભ શાખાની ફરિયાદો ખૂટવાનું નામ જ નથી લેતી સભ્યોની રજૂઆત સ્થાનિકોની રજૂઆત અરે ત્યાં સુધી કે સ્ટેન્ડીગ કમિટીમાં પણ વારંવારની તાકીદ છતાં પણ શાખાની ફરિયાદો ખૂટવાને બદલે વધતી જ જાય છે, હવે જે સ્ટે.કમિટીને દાદ ના આપે તે સ્થાનિકોને ફરિયાદને તો શું ગાંઠે ખરા…? જો વોર્ડ નં.11 ની વાત કરવામાં આવે તો ભૂગર્ભની કામગીરી અંગે કોન્ટ્રાકટરો પાસે પુરતા સાધનો હોતા નથી. આ અંગે સ્થાનિક રહેવાસીઓએ આવેદનપત્ર પણ પાઠવેલ છે. મોહનનગર, નારાયણનગર, વૃંદાવન પાર્ક સહિતના વોર્ડ નંબર 11ના વિસ્તારોમાં ભુગર્ભ ગટર અંગેની ફરીયાદોનો ધોધ વહેતો જ રહ્યો છે, જે જે વિસ્તારોમાં ભુગર્ભ ગટર મેન હોલ રોડ લેવલથી નિચા કે ઉંચા અથવા ભુગર્ભ ગટરના પાણીનો નિકાલ ન થઇ શકવાના કે અન્ય કોઇ પ્રશ્નો હોય ફરીયાદોનો નિકાલ કરાવવાની વારંવાર સ્ટે.કમિટીમાં પણ તાકીદ કરવામાં આવી છે.
તો કેટલાક વોર્ડમાં ભુગર્ભ ગટર સફાઈ અન્વયે કોન્ટ્રાક્ટર વોર્ડ ઓફીસે સવારે 10 વાગ્યા સુધી હાજર જ નથી હોતા એટલે કે દર્શન જ નથી આપતા..! તેમજ ફરીયાદો નોંધાયા બાદ તેઓની અનુકૂળતાએ ફરીયાદનો નિકાલ કરે છે આવું તો કેમ ચાલે તેવી કેટલાક સભ્યોએ પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂઆત કરી છે, વોર્ડ નં. 11 માં તો જાણે ભૂર્ગભની સમસ્યાએ માજા મૂકી હોય તેમ કેટલાય વિસ્તારોમાં ભુગર્ભ ગટર અંગે વર્ષો જુનો પ્રશ્ન છે, અને તેમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા નથી. આથી અવાર-નવાર ભુગર્ભના ગંદા પાણી રોડ ઉપર ફેલાય છે, અને આ વિસ્તારમાં તો કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદો શાશક જૂથના સભ્યો અવારનવાર કરતા રહ્યા છે, તો એવું પણ જાણવા મળ્યું હતું કે વોર્ડ નં 11 માં ભુગર્ભ ગટરના કામ પાઇપ ગટર અંગે જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કામનું ખાતમુર્હુત કર્યા બાદ એક વર્ષ જેટલા સમયબાદ પણ કામ પૂર્ણ જ નથી કર્યું આ તો કેવું કહેવાય.? અને આવી બાબતો તો સભ્યો સ્ટેન્ડિંગ કમિટીમાં ધ્યાને લાવે ત્યારે સામે આવે છે. તો ભુગર્ભ ગટરની ફરીયાદો જે ઓન લાઇન આવે છે ત્યારબાદ શાખામાં અને શાખામાંથી જે તે ઝોનમાં નિકાલ માટે પહોંચે ત્યારે કેટલાય દિવસનો સમય પસાર થઇ જાય છે. જેથી ઓનલાઇન ફરિયાદનો ભૂગર્ભની ફરિયાદોને લઈને કોઇ અર્થ રહેતો નથી. અને આવી આવતી ફરીયાદો સમયસર નિકાલ ના થતો તેવી બુમરાળ પણ ઉઠી હોવાનું જાણવા મળે છે.