Mysamachar.in-જામનગર:
જામનગર તથા દ્વારકા જિલ્લો દરિયાકિનારે આવેલા હોય, આપણાં બંને જિલ્લાઓમાં ઓવરહેડ વીજવાયરો ખૂબ જ પ્રતિકૂળ વાતાવરણનો સામનો કરતાં હોય છે, તેથી આ વીજવાયરોનું આયુષ્ય ઓછું હોય છે. બંને જિલ્લામાં આગામી સમયમાં રૂ. 253.75 કરોડનાં ખર્ચે તમામ ક્ષતિગ્રસ્ત વાયરો બદલી નાંખવામાં આવશે. આ માટે આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
જામનગર વીજતંત્રના વડા-અધિક્ષક ઈજનેર કે આર પરીખે Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વીજવાયરો બદલાવવા પાછળ રૂ. 170.40 કરોડનો અને દ્વારકા જિલ્લામાં વીજવાયરો બદલાવવા રૂ. 83.35 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા હોમવર્ક અને તૈયારીઓ કરી લેવામાં આવી છે. આગામી સમયમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે. જામનગર જિલ્લામાં કુદરતી આપત્તિ થવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં 11 KV વીજલાઈનો બદલાવવા રૂ. 61.08 કરોડનો ખર્ચ થશે. અને, કુલ 642.1 કિમી લંબાઈના વીજવાયર બદલાવવામાં આવશે. અન્ય વિસ્તારોમાં 680.7 કિમી વીજવાયર બદલાવવામાં રૂ. 64.76 કરોડનો ખર્ચ થશે.
એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુદરતી આપત્તિ થવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં 11KV નાં 595 કિમી લંબાઈના વીજવાયર બદલાવવામાં રૂ. 56.61 કરોડનો ખર્ચ થશે. જિલ્લાનાં અન્ય વિસ્તારોમાં 78.99 કિમી લંબાઈના વીજવાયર બદલાવવામાં રૂ. 07.51 કરોડનો ખર્ચ થશે. જામનગર જિલ્લામાં સિંગલ તથા થ્રી ફેઈઝ વીજજોડાણો માટેનાં કુલ 1710.71 કિમી લંબાઈના વીજવાયર બદલાવવામાં રૂ. 43.56 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ખર્ચમાં કુદરતી આપત્તિ થવાની સંભાવના ધરાવતા વિસ્તારો ઉપરાંત અન્ય વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.