Mysamachar.in-અમદાવાદ
એક તરફ રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તો બીજી તરફ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે આ તમામ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે મહત્વના કહી શકાય તેવા સમાચાર સાંપડી રહ્યા છે, આ વર્ષે ચોમાસુ એકંદરે સારું રહેશે. હોળીની ઝાળ અને અખાત્રીજના પવનની દિશાથી પણ સારા વરસાદનો વર્તારો મળ્યો છે. હવામાન વિભાગે પણ ચોમાસુ વહેલાં આવી જશે એવી આગાહી કરી દીધી છે. સામાન્ય રીતે દેશમાં કેરળ પછી ચોમાસાનું આગમન થાય છે. પછી કર્ણાટક, મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અન્ય ભાગોમાં આગળ વધે છે. હાલ ગુજરાતમાં વાવાઝોડું દરિયાકાંઠા તરફ આગળ વધી રહયું છે. ત્યારે હવામાન વિભાગે એવી આગાહી કરી છેકે, 16 થી 18 મે વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
આ વર્ષે ભારતીય મોસમ વિભાગે સતાવાર ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. આ વર્ષે દેશમાં ચોમાસું વહેલા બેસી શકે છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાનથી કેરળમાં 31મેથી વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે ગુજરાત માટે પણ આ સૌથી સારા સમાચાર છેકે, આ વર્ષે અહીં ચોમાસુ ખુબ સારું રહેશે. વરસાદ સારો રહેવાનો વર્તારો મળ્યો છે. હવામાન વિભાગની આગાહી પણ એ દિશા તરફ અંગૂલી નિર્દેશ કરી રહી છે. દેશભરમાં 98 ટકા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ સમાચારથી ગુજરાતના ખેડૂતોની પણ ઘણી બધી ચિંતાઓ હલ થઈ જશે. જોકે ચોમાસાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. અંદમાન સમુદ્રમાં સાનુકૂળ પરિસ્થિતિ બની રહી છે. 22 મેના અંદમાન સમુદ્રમાં ચોમાસાની શરૂઆત થયા બાદ આગળ વધશે અને 31મેના કેરળ પહોંચવાનું પુર્વાનુમાન છે.
ગત વર્ષે સૌરાષ્ટ્રમાં દેશભરમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તા.15થી 20 જૂન સુધીમાં ચોમાસુ બેસતું હોય છે જો કે આ ચોમાસુ કેટલી ઝડપથી આગળ વધે છે તે જે તે વખતના કુદરતી સંજોગો પર આધારિત હોય છે. ચોમાસા પહેલા જ શક્તિશાળી વાવાઝોડુ હાલ રચાઈ રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસે અને જમીનમાં પૂરતો ભેજ ઉતરી જાય તેવી આશા છે.