Mysamachar.in-જામનગર
ગુજરાત સરકાર દ્વારા ઘડવામાં આવેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટના કાયદાની જામનગરમાં બખૂબી અમલવારી થઇ રહી છે, કલેકટરની કમિટી સમક્ષ પહોચતા કેસોમાં ઝડપી કાર્યવાહી કરી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હાઓ દાખલ કરી અને આ રીતે ગેરકાયદેસર કોઈની જમીનો પર કબજો કરી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી જ વધુ એક ચેલા ગામની સંયુક્ત માલિકીના કબ્જા સંદર્ભે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે. આ મામલાની પંચકોશી બી ડીવીઝનમાં નોંધાયેલ ફરિયાદની ટૂંકી વિગત પર નજર કરવામાં આવે તો…
યોગેન્દ્રસિંહ ભાવસિંહ કેર જેવો ખેતીકામ કરે છે અને ચેલા ગામે ગ્રામ પંચાયતની બાજુમાં વસવાટ કરે છે, તેમની સંયુકત માલીકીની વારસાઈ ખેતીની જમીન ચેલા ગામ ખાતા નંબર-269 જેના જુના સર્વે નંબર-678 નવા સર્વે નંબર-556 જેનુ ક્ષેત્રફળ 0-26-52 હે.આરે.ચોમી. વાળી ખેતીની જમીનમા હેંમતસીંહ માનસંગ કેર, કીશોરસીંહ હેંમતસીંહ કેર, પૃથ્વીરાજસિંહ હેમતસીંહ કેર રહે. બધા ચેલા ગામ વાળાઓએ છેલ્લા દોઢેક વર્ષથી ગેરકાયદેસર કબજો કરી તેમા પાણી માટેનો બોર કરી તથા તેમા બેલાની ઓરડી બનાવી ગેરકાયદેસર વીજ કનેકશન લઈ જમીન પચાવી પાડી અને તેનો હાલમા કબજો ચાલુ રાખેલ છે,
આ બાબતે ફરીયાદી યોગેન્દ્રસિંહએ તેઓને આ જમીન ખાલી કરવા કહેતા જમીન ખાલી કરેલ નહી અને તા.04-01-21ના રોજ કહેવા જતા ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ માર મારી ઈજા કરેલ તેમજ ત્રણેય આરોપીઓએ કહેલ કે હવે પછી તુ કે તારા દાદા જેસંગજીના કોઈપણ વારસદાર આ જમીનમા પગ મુકશો તો જીવતા રહેશો નહી તેવી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાએ ગુન્હામા મદદગારી કરી ગુન્હો કરી જમીનમા ગેરકાયદેસર કબજો ચાલુ રાખેલ હોય જેથી ફરીયાદીએ જીલ્લા કલેકટર જામનગરને સંબોધીને જમીન ખાલી કરાવવા બાબતે અરજી કરતા લેન્ડ ગ્રેબીંગ સમીતીએ અરજી તપાસ કરી પુરાવા એકત્રીત કર્યા બાદ ફરિયાદીએ આ મામલે ગુન્હો દાખલ કરેલ છે.