Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જ રાજ્યના સીનીયર IPS અધિકારીઓની બદલી સરકાર દ્વારા કરવામાં આવી જેમાં રાજકોટ રેંજ આઈ.જી.સંદીપસિંગની બદલી થતા તેમના સ્થાને રાજ્યમાં કડક IPS અધિકારીઓમાં ના એક એવા IPS અશોકકુમાર યાદવને રાજકોટ રેંજ આઈજી તરીકેની જવાબદારી સરકારે સોંપી છે, રાજકોટ રેંજ આઈ.જી નો ચાર્જ સંભાળતા જ અશોકકુમાર યાદવ એક્શન મોડમાં આવ્યા છે, તેવોએ પ્રથમ જ જગતમંદિર દ્વારકા ખાતે પહોચી જઈ અને દ્વારકાધીશને શીશ ઝુકાવ્યા બાદ જગતમંદિર દ્વારકા કે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વનું માનવામાં આવે છે તેની સુરક્ષાના પોઈન્ટ ઓફ વ્યુથી દ્વારકા એસ.પી.નિતેશ પાંડે, DYSP સમીર શારડાને સાથે રાખી અને આવનાર દર્શનાર્થીઓ સાથે સીધી જ વાતચીત કરી અને તેના પ્રતિભાવો જાણ્યા બાદ જરૂરી સૂચનાઓ કરી હતી.
દેવભૂમિ દ્વારકા જીલ્લાની મુલાકાત બાદ રેંજ આઈ.જી.અશોકકુમાર યાદવ જામનગર પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોચ્યા હતા, જ્યાં તેવોએ હાજર જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી, અને શહેર જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે બાબતે વાતચીત કરી હતી. તેમજ દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતે પણ વાતચીત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, દરિયાઈ પટ્ટી પર વધુ પેટ્રોલિંગ કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
રાજ્ય સરકારની ઝીરો ડ્રગ્ઝ પોલીસી અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં હજુ બાજ નજર રાખી અને નશીલા દ્રવ્યોના રેકેટને નાથવામાં આવશે તેમ પણ આઈ.જી.એ જણાવ્યું હતું,પોલીસ અધિકારીઓ સાથે વાતચીત બાદ આઈ.જી.યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે જામનગરથી મારી કારકિર્દીની શરૂઆત થઇ હતી, પ્રોબેશનલ ASP તરીકે થઇ હોવાનું જણાવી અને ફરીથી હાલારની સેવા કરવાનો મોકો મળ્યો છે, તેને ગૌરવની વાત ગણાવી હતી, આઈ.જી. અશોકકુમાર યાદવે જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમ દ્વારા જે રીતે મક્કમતાથી કામગીરી કરવામાં આવી રહી છે તેની સરાહના કરી હતી.જામનગર જીલ્લાની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી રહે તે માટે પોલીસ દ્વારા કડકાઈથી કામ લેશે તેમ પણ જણાવ્યું હતું.
વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ભયમુક્ત વાતાવરણ વચ્ચે નિષ્પક્ષ ચુંટણી પૂર્ણ થાય તે માટે પોલીસ સજ્જ છે, સાથે જ હાલારના બન્ને જિલ્લાઓમાં ખુબ મોટો દરિયાઈ વિસ્તાર આવેલ હોય તેની સુરક્ષાને લઈને પણ પોલીસ માઈક્રો પ્લાનિંગ સાથે કામગીરી કરશે. અને વધુમાં સંવેદનશીલ વિસ્તારોમાં જે કોઈ ગેરકાયદે દબાણો છે તેને વહીવટીતંત્રને સાથે રાખી ડીમોલીશન કરવાની કાર્યવાહી પણ ભવિષ્યમાં ચાલતી રહેશે તેમ પણ તેવોએ વાતચીતના અંતે જણાવ્યું હતું.