My samachar.in : જામનગર
જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા હસ્તક શહેરમાં અનેક વિકાસકામો ચાલુ છે, અને કેટલાય એવા કામો કે લાખોટા મ્યુઝીયમ, ખંભાળિયા ગેટ, તળાવની પાળ સહિતના મહત્વના પ્રોજેક્ટો પૂર્ણ થઇ ચુક્યા છે, અને આ કામો શહેરની શોભામાં તો વધારો કરશે જ સાથોસાથ લોકોને શહેરી સુવિધાઓનો અહેસાસ પણ કરાવી રહ્યા છે અને હજુ કરાવશે… આવો જ એક મહત્વાકાંક્ષી કહી શકાય તેવો પ્રોજેક્ટ દિગ્જામ સર્કલ રેલ્વે ફાટક પર ઓવરબ્રીજનો ચાલી રહ્યો છે, આ બ્રિજની હવે કહી શકાય તેવી સામાન્ય કામગીરી જ બાકી છે, અને આવનાર ખુબ ટૂંકા સમયમાં આ બ્રીજ લોકો માટે કાર્યરત થઇ જતા શહેરીજનોની સુવિધામાં મોટો વધારો થશે, આ બ્રીજ કાર્યરત થતા 1 લાખ લોકોને તેનો સીધો જ રોજીંદો લાભ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે. વધુમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના ફાટક મુક્ત શહેરની દિશામાં વધુ એક પગલું જામનગરમાં હશે..અને વધુ એક વિસ્તાર ફાટક મુક્ત થશે અને લોકો વાહનચાલકો સીધા જ જે-તે સ્થળે વિના વિલંબે પહોચી શકશે….
આ પ્રોજેક્ટ અંગે પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાનીએ જણાવ્યું કે મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી, ધારાસભ્યો, સાંસદ, અને મનપાના પદાધીકારો તો સાથે જ સંગઠન પાંખ અને અધિકારીઓના પ્રયાસથી આ પ્રોજેકટ મંજુર થયા બાદ કામગીરી હવે પૂર્ણતાને આરે છે, અને હવે રેલ્વે વિભાગ પુરતી કામગીરી એપ્રિલ 2022 સુધીમાં પૂર્ણ થઇ જશે તેવું લાગે છે.
-આ ઓવરબ્રિજનો ઉદેશ..
આ સ્થળ પર ઓવરબ્રીજ બનાવવાનો મુખ્ય ઉદેશ દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ ઉપર જવું હોય તો વચ્ચેના ભાગમાં રેલ્વે ફાટક આવતુ હોય વાહનચાલક અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, આ પ્રોજેકટના કન્સલ્ટન્ટ તરીકે ફ્લાયઓવર અને ઓવરબ્રીજ સહિતના મોટા મોટા કામો કરનાર અને ખુબ અનુભવ ધરાવતા અને વર્ષ 1990થી રાજ્યના જુદા-જુદા શહેરોમાં ફ્લાયઓવર બ્રિજના મહત્વના પ્રોજેક્ટ વિના વિવાદે સંપૂર્ણ કરનાર કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશન (ભરૂચ, અંકલેશ્વર)ની છે. આ સ્થળ પર રેલ્વે બ્રીજની બન્ને બાજુ એપ્રોચીસ બનાવાશે, આ બ્રીજ તૈયાર થવાથી રીંગરોડ બાદ વિકરોલા દ્વારકાધીશ રેસીડેન્સી, રવિપાર્ક, નીલકંઠ ધામ, બાલાજી પાર્ક તેમજ અન્ય સોસાયટી થઇને કુલ એક લાખ જેટલા લોકોને જામનગર શહેર સાથે સીધી કનેકટીવીટી મળશે, અને અવાર નવાર રેલ્વે ફાટક પાસે વાહનોની થતી કતાર પણ બ્રીજ હવે જયારે કાર્યરત થવા જઈ રહ્યો છે તે થઇ જતા જોવા નહીં મળે.અને રાજ્ય સરકારનું ફાટક મુક્ત ગુજરાતની દિશામાં વધુ એક સ્વપ્ન સાકાર થશે તેમ વાતચીતના અંતે જણાવ્યું હતું.
-એપ્રિલ 2022 સુધીમાં કામ પૂર્ણ થઇ જશે:ભાવેશ જાની:કાર્યપાલક ઈજનેર:પ્રોજેક્ટ પ્લાનીગ શાખા
જામનગર મહાનગરપાલિકા દ્વારા એલ.સી.નં.199 દિગ્જામ સર્કલ પાસે રેલ્વે ઓવરબ્રીજના કામે અંદાજે રૂ.21 કરોડના ખર્ચે પૂર્ણ થવાના આરે છે. આ કામમાં રેલ્વે ઓવર બ્રીજની લંબાઈ અંદાજીત 625 મીટર અને પહોળાઈ 7.50 મીટર (ટુ લેન) તેમજ રેલ્વે ટ્રેકથી ઉચાઈ 8.30 મીટર રેલ્વે વિભાગના નિયમો મુજબ તથા બંને બાજુના એપ્રોચ 1:20 ના સ્લોપ સાથે તેમજ બાજરા સંશોધન કેન્દ્ર પાસે 1:27ના સ્લોપ સાથે બ્રીજના મેઈન કમ્પોનેન્ટનું કામ પૂર્ણ થયેલ છે. હાલે બ્રીજના નીચે પાર્કિંગના કોન્ક્રીટનું કામ ચાલુ છે તે પૂર્ણ થયા બાદ બંને બાજુ સર્વિસ રોડનું કામ (ડામર રોડ) માર્ચ- 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. જયારે રેલ્વે વિભાગના અધિકારી સાથે ચર્ચા કરતા તેમનું કામ એપ્રિલ- 2022 ના અંત સુધીમાં પૂર્ણ થશે. જો આ બ્રીજને કોવીડ- 19 અંતર્ગત કોઈ વિલંબ ના પડે તો એપ્રિલ- 2022ના અંત સુધીમાં કામ પૂર્ણ થશે. અને બ્રીજ લોકો માટે તથા ટ્રાફિક વહન માટે ખુલ્લો મુકાઈ જશે.