Mysamachar.in:જામનગર
બાયોડીઝલના વેચાણને લઈને સરકાર સખ્ત છે, કારણ કે કાયદેસરના પેટ્રોલપંપના સંચાલકો છેક ગાંધીનગર પહોચ્યા હતા અને થોડા સમય પૂર્વે પૂર્વ મુખ્યમંત્રીને ગંભીર રજૂઆત કરી અને ગેરકાયદે બાયોડીઝલના હાટડાઓ બંધ કરાવવા રજૂઆત કરી હતી, આ મામલે સરકાર સ્પષ્ટ સૂચનાઓ આપી હોવા છતાં પણ જામનગર જીલ્લામાં ક્યાક ને ક્યાંક પુરવઠા વિભાગ સહિતના વિભાગોની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર બાયોડીઝલનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે, ત્યારે વધુ એક વખત પુરવઠા વિભાગ નહિ પરંતુ પોલીસે બાયોડીઝલનો મોટો જથ્થો ઝડપી પાડી પુરવઠા વિભાગનું નાક કાપી લીધુ છે.
જામનગર કાલાવડ હાઇવે રોડ ઉપર ઠેબા ગામ પાસે આવેલ અક્ષર કોમ્પલેક્ષ ખાતે આવેલ ગીતા લોજીસ્ટીકની ઓફિસની સામે બાયોડીઝલનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી પંચકોશી એ ડીવીજન પોલીસને પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં જયેન્દ્ર વલ્લભભાઈ દુધાગરા અને સાજીદ રહીમભાઈ સોરઠીયા બને મળી આવ્યા હતા, પોલીસે સ્થળ પરથી ભેળસેળ યુક્ત બાયોડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી 12400 લીટર કિ.રૂ.8,06,000 તથા ઓઇલ 1000 લીટર કિ.રૂ.50,000 તથા લોખંડનો મોટો ટાંકો, પ્લાસ્ટીકનો ટાકો, 26 ખાલી બેરલો, પાઇપ સાથેની ત્રણ ઇલેક્ટ્રીક મોટર તથા ઇલેક્ટ્રીક ફીલીંગ મશીન તેમજ સ્ટેબીલાઇઝર તથા ગુનામાં ઉપયોગ કરેલ ટ્રક તથા આઇસર વાહન તથા મોબાઇલ નંગ 3 તેમજ અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂપીયા 21,80,000નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે બંનેની અટકાયત કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ જયેન્દ્ર વલ્લભભાઈ દુધાગરાએ પોતાના પાર્ટનર આશિષભાઈ સોઢા સાથે મળી આરોપી નીરવભાઇ મધુસુદનભાઈ સોની પાસેથી ભેળસેળ યુક્ત બાયોડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી તેમજ ઓઇલ મેળવી તેમજ નીરવભાઇ મધુસુદનભાઈ સોનીએ જથ્થો પુરો પાડી આરોપી જયેન્દ્રભાઈ વલ્લભભાઈ દુધાગરાએ પોતાના સાથેના અન્ય શખ્સ સાજીદભાઈ રહીમભાઈ સોરઠીયાની મદદગારીથી ભેળસેળ યુક્ત બાયો ડીઝલનો જથ્થો પોતાના કબ્જા ભોગવટામાં રાખી તેમજ આરોપી આઇસર ચાલક સલીમ સતારભાઈ સોરઠીયાએ ભેળસેળ યુક્ત બાયો ડીઝલનો જથ્થાની હેર-ફેર કરી, તમામ આરોપીઓએ પેટ્રોલીયમ અને પ્રાકૃતીક ગેસ મંત્રાલયની કોઇ મંજુરી મેળવ્યા વગર જ્વલનશીલ પદાર્થ અનઅધિકૃત રીતે ઉપયોગ કરી/ઇંધણ તરીકે વેચાણ કરી વાતાવરણ પ્રદુષીત કરી તેમજ ફાયર સેફ્ટીના સાધનો વગર રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્રવાહી રાખી ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યુ હતું.પોલીસે કુલ 5 ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પોલીસની આ કાર્યવાહી ખરેખર તો પુરવઠા વિભાગે કરવી જોઈએ પણ પુરવઠા વિભાગ સકારણ ચુપ હશે એટલે જે પોલીસને હાથ આટલો મોટો બાયોડીઝલનો જથ્થો હાથ લાગ્યા બાદ આવા અન્ય રેકેટ જામનગરમાં ચાલતા હશે ત્યાં પુરવઠા વિભાગની નજર પહોચશે કે કેમ તે સવાલ છે.