Mysamachar.in-જામનગર:
રાજ્યમાં અને દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોરોના મુદ્દે વધુ એક નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે કોરોનાના નિયમો તમામ માટે સરખા જ છે. અમે માસ્ક ન પહેરવા માટે દંડ લેવાના બદલે માસ્ક આપીશું. ક્યાંક નાની મોટી ક્ષતિ હશે તો તેને સુધારીશું. વધુમાં તેવોએ કહ્યું કે કોરોનામાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેને લઈને અમે ખાસ રીતના પ્રયાસો કરી રહ્યા છીએ. કોરોનાના કેસ અચાનક વધી રહ્યા છે અને ક્યાંક જો નાની ભૂલો હશે તો તેને પણ સુધારવાનો પ્રયાસ અમે કરીશું. માત્ર માસ્કનો દંડ લેવા કરતા અમે સાથે રહીને માસ્ક આપવાનો પૂરતો પ્રયાસ કરીશું. જો કે અમને એ પણ ખ્યાલ છે કે રાતોરાત આ કામ થશે નહીં પણ અમે તેને માટેનો પ્રયાસ કરતા રહીશું.
વધુમાં તેમણે કહ્યું કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે નેતા હોય કે સામાન્ય નાગરિક હોય તમામ લોકો સામાન્ય માણસ છે. તમામના સ્વભાવ બદલાતા સમય લાગે છે. ક્યાંક નાની મોટી ક્ષતી રહી જાય તો પહેલા થોડા દિવસ સાથે મળીને આગળ વધીએ. સામાન્ય નાગરિક ગુનેગાર અને ગૃહમંત્રી ને છૂટ એવું નહીં થાય. નિયમો બધા માટે એક સમાન છે,
હવે જો ગૃહમંત્રી આટલા હકારાત્મક હોય તો જામનગર પોલીસ શા માટે અતિશયોક્તિ કરી રહ્યું છે સમજાતું નથી, તેમાં પણ સાંજ પડે ને હનુમાન ગેટ પોલીસ ચોકી અને ગુલાબનગર પોલીસ ચોકી નજીક જાણે માસ્ક ના પહેરનાર કોઈ મોટો ગુન્હેગાર હોય તેવું વર્તન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ બાબત જરાપણ યોગ્ય નથી, બીજું જાહેરનામાંમાં ઉલ્લેખ છે કે માસ્ક પહેરવું અથવા અન્ય કપડા વડે મો ઢાંકવું પણ જે મહીલાઓ દુપટ્ટા વડે મો ઢાંકે છે તેને પણ દંડિત કરવા કેટલા યોગ્ય..? ગઈકાલે જ જામનગરના એક સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ જણાવ્યું કે મારા પત્ની અને મારી દીકરી હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે દુપટા વડે મો ઢાંકેલ હોવા છતાં દંડ ભરવા મજબુર કરવામાં આવ્યા અને જો દંડ ના ભરે તો વધુ કાર્યવાહી કરવાની શેખી મારવામાં આવી…આ તો એક કિસ્સો વર્ણવ્યો પણ આવા તો કેટલાય કિસ્સાઓ વારંવાર અહી બને છે અને લોકોમાં આવી અતિશયોક્તિ ભરેલ કામગીરીથી રોષ ફેલાઈ રહ્યો છે.
હા કોરોનાથી બચવા નિયમોનું પાલન ખુબ જરૂરી છે અને દરેક લોકોએ દરેક નિયમોનું પાલન કરવું પણ જોઈએ પરંતુ પોલીસે જ્યાં ખરેખર જ્યાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે છે ત્યાં કાર્યવાહી કરવાને બદલે આ રીતે રસ્તે પસાર થતા લોકોને દંડિત કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જે થયું તે થયું પણ હવે પોલીસે ગૃહમંત્રીની વાતને માને તે જરૂરી છે.