Mysamachar.in:ગુજરાત
ફરિયાદોની નોંધણી, તપાસ, ચાર્જશીટ, પુરાવાઓ અને અદાલતનો ચુકાદો – આ બધી જ બાબતો કોઈ પણ ક્રાઈમ સંદર્ભે મહત્વની બાબતો હોય છે. પરંતુ ગુન્હાઓ નોંધાયા પછી, આરોપીઓને સજાઓ ન મળે તો, સૌને અચરજ અવશ્ય થાય. સાયબર ક્રાઇમ સંદર્ભે ગુજરાતમાં સ્થિતિ આ છે ! આ વિપક્ષનું નિવેદન નથી, કેન્દ્ર સરકારનો રિપોર્ટ છે. જામનગર સહિત રાજ્યભરમાં તથા દેશભરમાં સાયબર ક્રાઇમ ઉપરાઉપરી નોંધાતા રહે છે. ઘણાં ગભરુ લોકો તો આ પ્રકારના સમાચારો વાંચી-જોઈ ફફડતા પણ હોય છે. ડિજિટલ પેમેન્ટ અને ઈન્ટરનેટથી પણ આવા લોકો દૂર ભાગતાં હોય છે ! એટલી હદે, સમાજમાં સાયબર ક્રાઇમ ચર્ચામાં છે. સાથે ચર્ચાઓ એ પણ થાય છે કે, ઝડપાયેલા આરોપીઓને સજાઓ થાય છે ?! આ પ્રશ્નનો જવાબ ગુજરાતમાં અકળાવનારો છે !
ગુજરાતમાં સાયબર ગઠિયાઓને સજાઓ અપાવવાના મુદ્દે પોલીસનો પન્નો ટૂંકો પડી રહ્યો છે, એવું ચિત્ર સામે આવ્યું છે ! થોડાં સમય પહેલાં ગુજરાતની મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ બોલ્યા હતાં – આરોપીઓને સજા અપાવવાનો દર ઉંચો લઈ જવો આવશ્યક છે. જો કે તેઓ સાયબર ક્રાઇમ સંદર્ભે નહીં, જનરલ બોલ્યા હતાં. પરંતુ તેઓની આ સલાહ સાયબર ક્રાઇમને પણ ગાઢ રીતે લાગુ પડે છે. દેશનાં વિવિધ રાજ્યોમાં સાયબર ક્રાઇમ વિભાગમાં 1,968 કેસમાં સજાઓ જાહેર કરવામાં આવી છે. 736 આરોપીઓને સજાઓ ફટકારવામાં આવી છે. ગુજરાતમાં પાછલાં ત્રણ વર્ષમાં 3,600થી વધુ કેસો સાયબર પોલીસે ચોપડે લીધાં. પરંતુ આ કેસોમાં હજુ સુધી કોઈપણ આરોપીને સજા પડી નથી !!
વર્ષ 2019 માં ગુજરાતમાં સાયબર ક્રાઇમનાં 784 ગુના નોંધાયા. એ પછી વર્ષ 2020 માં પોલીસે સાયબરનાં 1,283 ગુના ચોપડે ચડાવ્યા. અને વર્ષ 2021 માં ગુજરાતમાં સાયબર ગુનાઓની સંખ્યા રેકર્ડ પર 1,536 રહી. સાયબર ક્રાઇમ થવાની સંખ્યા વધી અને ફરિયાદોની સંખ્યા પણ વધી. લોકજાગૃતિ પણ વધી. પરંતુ આ ત્રણ વર્ષનાં અરસામાં ગુજરાતમાં એક પણ સાયબર ક્રાઇમ અપરાધીને સજા થઈ નથી !! કેન્દ્ર સરકારનાં ગૃહ મંત્રાલયનાં રિપોર્ટમાં આ તમામ બાબતો સામે આવી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, જામનગર સહિત રાજ્યભરમાં સાયબર ક્રાઇમ વિભાગ ફરિયાદીઓના નામો જાહેર કરવામાં પણ ઘણાં બધાં કિસ્સાઓમાં મુઠી બાંધી રાખે છે !! શા માટે ?!