Mysamachar.in-જામનગર
આપણે ત્યાં કેન્દ્ર કે પછી રાજ્ય સરકાર ડીજીટલ પ્લેટફોર્મ પર આગળ વધી ગયાની વાતો તો ખુબ કરે છે, પરંતુ તેમાં રહી ગયેલી ખામીઓથી અરજદારો અને કામો સાથે જોડાયેલા લોકોને કેટલા પ્રશ્નો છે તે જોવા કોઈ નથી જતું…આવું જ કઈક છેલ્લા કેટલાક સમયથી જીએસટી ઓનલાઈન પોર્ટલ પર જોવા મળી રહ્યું છે, જેનાથી પરેશાનીનો પાર રહ્યો નથી.
છેલ્લા કેટલાંક દિવસથી જીએસટી પોર્ટલ વારંવાર ઠપ્પ થઇ જતાં વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને રજૂઆતો કરવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં નહી આવતા વેપારીઓને મુશ્કેલીઓમાં ઉલટાનું ઓનલાઈન પોર્ટલ થકી વધારો થઇ રહ્યાના ફીડબેક મળી રહ્યા છે, આ અંગે ગુજરાત સેલસટેકસ બાર એસોસિએશન દ્વારા પણ નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
આ સ્થિતિ યથાવત રહી હોય તેમ આજે પણ જીએસટી પોર્ટલ ધાંધિયા કરી રહ્યું હોવાનું સામે આવતા આ મુદ્દો ટિવટર પર પણ ખુબ જ ટ્રેન્ડીંગ થઇ રહ્યો છે. વારંવાર ઠપ્પ થઇ જતાં વેપારીઓ અને ટેકસ કન્સલ્ટન્ટ જણાવી રહ્યા છે કે, જ્યારથી જીએસટી કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી આ પ્રશ્ન ઉકેલાવાના બદલે વધી રહ્યો છે. ગઇકાલે પોર્ટલ સંપૂર્ણ પણે ઠપ્પ થઇ ગયું હતું. જ્યારે આજે પણ ધાંધિયા કરી રહ્યો હોવાનું સામે આવતા છેલ્લા દિવસોમાં રિર્ટન ભરવામાં વેપારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
સરકાર ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહ્યાની વાતો કરે છે પણ આજના ટેકનોલોજીના યુગમાં પોર્ટલ ઠપ્પ થઇ જવાની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા જામનગર સહિત રાજ્ય ભરના વેપારીઓ માગણી કરી રહ્યા છે, ભારતીય કંપનીએ બનાવેલ સોફ્ટવેર જે ભારત સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક છે તે ચાલતો જ નથી ત્યારે હવે આ સમસ્યાનો કાયમી નિવેડો આવે તેવું આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો અને વેપારીઓ ઈચ્છી રહ્યા છે.