Mysamachar.in-ગાંધીનગર:
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ બાદ હવે સરકાર સફાળી જાગી છે, અને આજે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કહ્યું કે, રાજ્યકક્ષાએ ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી કરાશે. તેમજ ફાયર સર્વિસને વધુ સુદ્ધઢ બનાવવા માટે ચાર ઝોનમાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. ફાયર સર્વિસના નવા નિયમોની અમલવારી આગામી 26મી જાન્યુઆરીથી રાજ્યમાં કરવામાં આવશે. વિજય રુપાણીએ વધુમાં કહ્યું કે…રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા ફાયર સેફ્ટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યિક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફ્ટી કોપ પોર્ટલ વિકસાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારર્કીદી ઘડીને ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યૂઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે. આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ-2013ની કલમ-12ની જોગવાઇ મુજબ કરવામાં આવશે.
ઓનલાઇન ભરવાના ફોર્મ્સ, અરજી, પ્રમાણપત્રો બધું જ સામાન્ય માણસને પણ સમજાય અને તે પોતાની જાતે એપ્લાય કરી શકે તેવું સરળીકરણ કર્યુ છે. આવા જે પ્રમાણપત્રો-સર્ટિફિકેટ મેળવવાના છે તેમાં નવા બિલ્ડીંગ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ-3 વર્ષ માટે માન્ય રહેશે. રિન્યૂઅલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે.
તો ફાયર સેફટીની શરૂઆત કોઇ પણ બિલ્ડીંગની ડીઝાઇનના તબક્કાથી જ થઇ જાય છે. ડેવલપરે બાંધકામની પરવાનગી વખતે જ ફાયર સેફ્ટી પ્લાનની મંજૂરી લેવી પડશે. બાંધકામ પુરૂં થઇ જાય પછી ફાયર સેફટી પ્રમાણપત્ર ત્યાર બાદ અગ્નિશમન વ્યવસ્થા બધું ચકાસ્યા પછી જ ફાયર સેફટી સર્ટીફિકેટ રિન્યુઅલ થશે. બિલ્ડીંગના મૂળ પ્લાનમાં બતાવ્યા મુજબ સમગ્ર લાઇફ ટાઇમ દરમ્યાન આ ફાયર સિસ્ટમ અસરકારક સ્થિતીમાં રહે તે માટે સમયાંતરે ઇન્સ્પેકશન કરીને જ સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે તેમ પણ તેવોએ અંતે જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખ્નીય છે કે સરકાર દ્વારા ફાયર સેફટીને લઈને સતર્કતા બતાવવામાં આવી છે, પણ અમલવારી કેટલી થશે તે જોવાનું છે.