Mysamacharin-અમદાવાદ
રાજ્યમાં આ વર્ષે ખેચાયેલા અને અપૂરતા વરસાદે ખેડૂતો સહીત રાજ્યના લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે, ત્યારે આજે સવારમાં એક સારા સમાચાર સામે આવી રહ્યા છે, હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 20મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવાઈ રહી છે, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
આગામી અઠવાડિયાથી 10 દિવસ દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે, જેને કારણે વરસાદની જે ઘટ પડી છે, તેમાં ઘટાડો થવાની સંભવનાઓ હવામાન જાણકારોએ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો-પ્રેશર રચાશે, જે 7થી 8 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે, જેને કારણે રાજ્યમાં વધી શકે છે થંડર સ્ટ્રોમની ગતિવિધિ. 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેની અસર 8 થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા 20મી સુધી સારો વરસાદ પડી શકે છે.