Mysamachar.in-જામનગર:
ચૂંટણી કોઈ પણ હોય, OBC સમાજનાં મતદારો પર દરેક રાજકીય પક્ષોની નજર હોય છે. જામનગરમાં પણ આ સમાજ વિશાળ હોવાને કારણે મતદારોની સંખ્યા મોટી અને તેથી પ્રભાવી લેખી શકાય. જામનગરમાં OBC સમાજનાં અગ્રણી તરીકેની જાહેર જીવનની લાંબી કારકિર્દી ધરાવતા ગિરીશભાઈ અમેથિયા આ સમાજમાં વર્ષોથી સક્રિય છે.
જામનગરમાં આ વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની પાંચ પૈકી એકાદ-બે બેઠકો પર OBC સમાજનાં સ્થાનિક આગેવાનોને લડાવવા અંગે દરેક પક્ષ સ્વાભાવિક રીતે જ વિચારતો હોય તે શક્ય છે. જેને કારણે આ સમાજનાં ઘણાં આગેવાનો ઘણાં સમયથી સક્રિય બની ચૂક્યા છે. જેમાં BJP નાં પ્રજાપતિ સમાજના નેતા ગિરીશભાઈ અમેથિયાનો સમાવેશ થાય છે. તેઓ 2019 થી પક્ષ સાથે જોડાયેલા છે, અને પ્રજાપતિ સમાજ તથા ઓબીસી સમાજના વિવિધ સંગઠનો અને સંસ્થાઓમાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, ગુજરાતમાં પ્રજાપતિ સમાજની વસ્તી 55 લાખથી વધુ છે અને 182 વિધાનસભા બેઠક પૈકી 35 જેટલી બેઠકો પર પ્રજાપતિ સમાજના મતદારોની સંખ્યા નિર્ણાયક લેખવામાં આવતી હોય, તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે પ્રજાપતિ સમાજની રાજ્યકક્ષાની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ કન્વીનર વાઘજીભાઇ સહિતના જામનગર જિલ્લા સહિતનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં માંગણી કરવામાં આવી હતી કે, આગામી ચૂંટણીમાં પ્રજાપતિ સમાજને વિધાનસભાની કુલ 20 બેઠકો ફાળવવામાં આવે તથા બોર્ડ-નિગમોમાં 20 આગેવાનોનો સમાવેશ કરવામાં આવે. આ બેઠકમાં જામનગરથી ગિરીશભાઈ અમેથિયા પણ ઉપસ્થિત રહ્યા હતાં. ગિરીશભાઈ જામનગર તથા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રજાપતિ સમાજના વિવિધ સંગઠનોમાં હોદાઓ ધરાવે છે અને સક્રિય જાહેરજીવનમાં તેઓ છેલ્લાં 26 વર્ષથી સતત છવાયેલાં રહ્યા છે. અને સામાજિક ક્ષેત્રે એક આગવી અને સ્વચ્છ છબી ધરાવતા નેતા છે.
પ્રજાપતિ સમાજની સાયલા બેઠકમાં એવું નક્કી થયું છે કે, સૌરાષ્ટ્રમાં પ્રજાપતિ સમાજને ત્રણ બેઠકો ફાળવવામાં આવે અને જે પૈકી 79-જામનગર(દક્ષિણ) વિધાનસભા બેઠક પર ગિરીશભાઈ અમેથિયાને ટિકિટ મળે તે માટે પ્રજાપતિ સમાજના આગેવાનોએ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહીતના નેતાઓને પણ આ અંગે યોગ્ય થવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અને તે દિશામાં વધુ પ્રયાસો કરવામાં આવશે એવું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. ગિરીશભાઈ વર્ષ 2019 થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાથી આકર્ષાઈ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય બન્યા છે.અને આજ દિવસ સુધી તેવો ભાજપની વિકાસયાત્રા અને ભાજપના કરેલ કામો અને ભાજપની વિચારધારાથી લોકોને અવગત કરાવવા માટે તનતોડ મહેનત કરે છે.