Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ છેલ્લાં કેટલાંક મહિનાઓથી વધુ ગતિશીલ બની છે. જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકી શહેરની બંને બેઠકો ખૂબ જ મહત્વની લેખાઈ રહી છે. આ બંને બેઠકો પર લડવા અને વિજય મેળવવા માટે ઘણાં સમયથી, ખાસ કરીને શાસકપક્ષમાં ભારે આંતરિક ગડમથલો ચાલી રહી છે. ઘણાં નવા ચહેરાઓ આ બેઠકો પર ફોકસ રહી ઘણો પરિશ્રમ કરી રહ્યા છે. પરંતુ પક્ષમાં કેટલાંક આગેવાનો ઇચ્છે છે કે, આ વખતે તેઓને – તેઓનાં સમાજને તક આપવામાં આવે. આ માટે સંગઠનની પ્રણાલી અનુસાર આ પ્રકારના નેતાઓએ આ બેઠકો માટે પોતાનો દાવો પણ પક્ષમાં સંબંધિતો સુધી પહોંચાડી દીધો હોવાનું કહેવાય છે.
શહેરની આ બે બેઠક પૈકી જામનગર(દક્ષિણ) બેઠક પર લડવા ઘણાં નાનાં-મોટાં નેતાઓ લડવા આતુર છે, જેમાં કોર્પોરેટર કક્ષાનાં તથા એક પણ વખત ચૂંટણી ન લડેલા લોકોનો પણ સમાવેશ થાય છે. તેની સામે જેમને સમાજનો ટેકો અને મજબુત સામાજિક બેક ગ્રાઉન્ડ છે તેવા ઇચ્છુકો પણ મેદાને છે.આ તમામ વચ્ચે 79-જામનગરની આ બેઠક પર પક્ષ ટિકીટ આપે તો, ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો પૈકી પ્રજાપતિ સમાજના અગ્રણી ગિરીશભાઈ અમેથિયાનો દાવો પક્ષમાં ખૂબ મજબૂત રીતે આગળ વધી રહ્યો હોવાનું સુત્રો કહે છે, જો આ બેઠક પર મોવડીમંડળ ઓબીસી સમાજને આ વખતે ટિકીટ આપે તો, ગિરીશભાઈને ટિકીટ મળવાની તકો ઉજ્જવળ હોવાનું જાણવા મળે છે,
ગિરીશભાઈ અમેથિયા દાયકાઓથી જાહેર જીવનમાં સક્રિય છે. પ્રજાપતિ અને ઓબીસી સમાજના જિલ્લાથી માંડીને રાજયકક્ષા સુધીનાં વિવિધ સંગઠનો અને સંસ્થાઓમાં તેઓ વર્ષોથી સક્રિય છે. વિવિધ હોદ્દાઓ ધરાવે છે. તેઓ સક્રિયતા અને પ્રતિષ્ઠા નોંધપાત્ર પ્રમાણમાં ધરાવે છે. આ ઉપરાંત તેઓ ભૂતકાળમાં ઉદ્યોગ, ખેતી, વ્યાપારી સંગઠનો વગેરે ક્ષેત્રોમાં પણ જવાબદારીઓ તથા મહત્વનાં હોદાઓ સંભાળી ચૂક્યા છે. જાહેરજીવનનો તેઓનો અનુભવ અને સંપર્કો વિશાળ અને ગાઢ છે.
છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને કારણે પક્ષની પાયાની પ્રવૃતિઓમાં સતત વ્યસ્ત રહે છે. પક્ષમાં પણ તેઓ મોટાભાગના આગેવાનો અને કાર્યકરો સાથે ગાઢ અને વિશાળ સંપર્કો અને સંબંધો ધરાવે છે અને નિષ્ઠાવાન, સક્રિય તથા બિનવિવાદી વ્યક્તિત્વને કારણે તેઓ પક્ષમાં તેમજ સર્વ સમાજનાં વિવિધ વર્ગોમાં સન્માનીય પ્રતિષ્ઠા ધરાવે છે.અત્રે એ પણ નોંધનીય છે કે, 79-જામનગર વિધાનસભા મતવિસ્તારમાં ઓબીસી તથા પ્રજાપતિ સમાજના મતદારોની સંખ્યા નોંધપાત્ર છે અને ગિરીશભાઈ અમેથિયા વ્યક્તિગત લોકચાહના અને વિશાળ સંપર્કો ધરાવતાં હોય, પક્ષનું મોવડીમંડળ તેઓનાં દાવા પ્રત્યે ગંભીરતાથી વિચારે એવી સંભાવનાઓ પુષ્કળ હોવાનું આંતરિક વર્તુળો જણાવે છે.