Mysamachar.in-જામનગર
પીજીવીસીએલ જામનગર સર્કલમાં ગેરરીતિઓએ નવી બાબત નથી, પરંતુ નવા-નવા પ્રકારે આચરાતા કૌભાંડ લાંબા સમય સુધી છુપાયેલા રહે છે, તે વીજવિભાગની નબળાઇ છે કેમકે એક તરફ નિયમિત ગ્રાહકો પુરતા વીજબીલના નાણા પેટે પાટા બાંધી ભરે છે, તો બીજી બાજુ છટકબારીઓ સામેથી દેખાડી વીજવિભાગના જ ભ્રષ્ટ અમુક વિભાગને જંગી નુકસાન કરાવે છે, આવુ લાંબા સમયથી ગાજેલુ એક પ્રકરણ રેકર્ડ ઉપર પડમાં આવ્યુ છે જેમા જીઆઇડીસી પેટા વિભાગના લગત જે તે વખતના અધિકારીનું કારસ્તાન છાપરે ચડીને પોકાર્યુ છે અને ખુદ અધિક્ષક આ મામલે પટમા આવ્યા છે હવે આ જે જંગી નુકસાન વીજવિભાગને થયુ તો ફાયદો પણ કોઇને થયો હોય ને?? તે તપાસ કરી વસુલો તેવો અભિપ્રાય સામે આવે છે.
જામનગર દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કારખાનામાં સંચાલકો દ્વારા વીજળીના વપરાશના મસમોટા બીલોથી બચવા માટે રહેણાંક હેતુના વીજ કનેકશનોનો કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે ઉપયોગ કરીને વીજ કંપનીને લાખો રૂપિયાનું નુકશાન કરવાના તરકટને હવે જામનગર પીજીવીસીએલ એ ઝડપી લઈને પુરવણી બીલ ફટકારીને કાર્યવાહી હાથ ધરતા લગત કારખાનાના સંચાલકો ફફડાટ ફેલાયો છે, અને એક બાદ એક ભોપાળા ખુલવા લાગ્યા છે, જામનગરમાં જીઆઈડીસીમાં છેલ્લા કેટલાક દિવસથી ઈજનેરોની 16 ટીમો એ કરેલા વીજચેકિંગમાં 44 ઘરવપરાશના વીજ જોડાણનો કારખાનામાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલાસો થવા પામ્યો છે અને એક ફર્નિચરના કારખાનાના સંચાલક દ્વારા ડાયરેકટ વીજ પોલથી કનેકશન લઈને વીજચોરી કરતાં તેને અલગથી 70 હજારનું વીજ ચોરીનું બીલ ફટકારવામાં આવ્યું છે.
જીઆઈડીસી ફેસ 2 અને 3 ના ઔધોગિક વિસ્તારમાં કુલ 69 કારખાનામાં તપાસ કરવામાં આવી હતી જે પૈકી 44 માં ઘરવપરાશ નામે વીજ જોડાણ લઈ કારખાનામાં ઉપયોગ કરવામાં આવી રહ્યાની ગેર રિતી ઝડપાઇ હતી આથી વીજચોરી કરનાર આસામીઓને હેતુ ફેરના બીલ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી, દરમિયાન આ મામલે પીજીવીસીએલના જામનગર સર્કલના અધિક્ષક એસ.આર.રાડા એ જણાવ્યુ હતું કે આ વીજચોરી નથી..પરંતુ રહેણાંક હેતુના કનેકશનો મેળવીને તેનો કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ હેતુમાં ઉપયોગ કરવામાં આવતો હતો અને રહેણાંક હેતુના યુનિટનો ભાવો અને કોમર્શિયલ યુનિટના ભાવોમાં તફાવત હોય કેમકે કોમર્શિયલ ભાવ લગભગ દોઢાથી બમણા થાય છે જેથી વીજકંપનીને મોટાપાયે નુકશાન ગયેલ છે, જેથી આ કારખાનાના સંચાલકોને ઇલેક્ટ્રીસીટી એક્ટની કલમ 126 મુજબ પુરવણી બીલ આપીને યુનિટ ટેરિફની તફાવતની રકમ વસૂલ કરવામાં આવશે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ જીઆઈડીસી વિસ્તારમાં લધુ ઉધોગ ધરાવતા નાના કારખાનાના સંચાલકો દ્વારા અગાઉ રહેણાંક હેતુના વીજકનેકશનનો મેળવીને મોટાપાયે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે ઉપયોગ કરીને વીજ કંપનીને મોટાપાયે નુકશાન કર્યું હોવાનો ખુલાસો થતાં વીજ કંપની દ્વારા આવા કનેકશનો ટ્રાન્સફર કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે લાંબા સમયથી આ વપરાશ થયો તે દરેક તો વસુલ થશે નહી એક બાજુ વીજલોસ થાય છે, વીજચોરી થાય છે ત્યારે આ રીતે વપરાશ ના ઉપયોગ બદલાય જાય તો પણ તપાસ ન થાય જવાબદાર સામે લાંબો સમય પગલા ન લેવાય વગેરે અનિયમિતતાઓ ટીકાપાત્ર બની છે, માટે નુકસાન કરનાર સામે તપાસ કરી પગલા લેવાય અને નુકસાની તમામ લગત પાસેથી વસુલાય તે જરૂરી હોવાના અભિપ્રાયો જાણકારોના મળ્યા છે.