Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે સરકારી વિભાગો છબરડાઓ કરવા ટેવાયેલા હોય છે ! પરંતુ ઘણીવાર વિભાગનો છબરડો સામાન્ય, પ્રમાણિક કે નિર્દોષ વ્યક્તિ માટે પરેશાની પેદાં કરનારો બની રહેતો હોય છે. જામનગરમાં વીજતંત્રના એક છબરડાને કારણે આમ બન્યું છે. જામનગરમાં વીજતંત્રના શહેર વિભાગ-એકમાં, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં એક વીજગ્રાહક વસવાટ કરે છે. તેનો વીજ વપરાશ લગભગ એકધારો રહે છે. અને વીજતંત્ર દ્વારા નિયમિત રીતે તેઓને રૂ. 8,500ની આસપાસનાં બિલો નિયમિત આપવામાં આવે છે. તેઓ બિલ આવે કે તુરંત જ બિલનાં નાણાં તંત્રને ભરપાઈ કરી આપે છે. ક્યારેય બિલ ભરવામાં વિલંબ કરતાં નથી. તેઓનું એક પણ બિલ પડતર નથી. કારણ કે તેઓ નિયમિત અને પ્રમાણિક, સામાન્ય વીજગ્રાહક છે. તાજેતરમાં વીજતંત્રએ આ ગ્રાહકને રૂ. 86,164.37નું વીજબિલ પકડાવી દીધું ! ગ્રાહકની આંખો ચાર થઇ ગઈ ! થોડીવાર તો તેઓ મૂંઝાઈ ગયા ! હવે કરવું શું ?! પછી આ ગ્રાહકે જાણકારોની સલાહ લીધી.
જાણકારોની સલાહ મુજબ, હિતેષ મૂલચંદાણી નામનાં આ ગ્રાહકે વીજતંત્રને અરજી આપી વિનંતી કરી કે, આટલું મોટું વીજબિલ આવ્યું છે, મેં આટલો વીજવપરાશ કર્યો નથી. તેથી હકીકતો જાણવા હું મારાં વીજમીટરની લેબોરેટરી તપાસ કરાવવા ઇચ્છું છું અને એ માટે જરૂરી ફી પણ ભરી આપીશ.
દરમિયાન પણ, વીજતંત્રએ વીજબિલની ખોટી રકમ વસૂલવા ગ્રાહકને કડક શબ્દોમાં ધમકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી ગ્રાહકને માનસિક યાતના આપી. એમ છતાં આ ગ્રાહકે લેબોરેટરી તપાસ માટે આગ્રહ રાખ્યા પછી મીટરની તપાસ કરવામાં આવી. રિપોર્ટ આવ્યો. રિપોર્ટ અનુસાર, ગ્રાહકનો વિજય થયો. તંત્રએ રિપોર્ટનાં આધારે સ્વીકાર કરવો પડ્યો કે, ઉપરોક્ત તોતિંગ બિલ બનાવતી મીટર રીડિંગમાં ભૂલ થઈ ગઈ હતી ! આખરે તંત્રએ બિલ સુધારી આપવું પડ્યું. કાલે સોમવારે આ મામલો તંત્રની લેબોરેટરીમાં પહોંચ્યો ત્યારે, સૂત્રો મારફતે એમ પણ જાણવા મળ્યું કે, આ એક જ ગ્રાહકની પરેશાની ન હતી ! આ પ્રકારના સાતેક ગ્રાહકો તંત્રની ડેલી ખખડાવવા મજબૂર બન્યા હતાં !
અહીં પ્રશ્ન એ પણ થઈ શકે છે કે – આવી ભૂલો કોઈ જાણી જોઈને કરી રહ્યું છે ?! તેઓનો ઇરાદો શું હોય છે ?! અને, આ પ્રકારની માનસિક યાતનાઓ પ્રમાણિક ગ્રાહકોએ શા માટે ભોગવવી પડે?! તંત્રનાં બાહોશ અધિકારીઓએ આ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લઈ, તંત્રમાં જ્યાં પણ ખામીઓ હોય, સુધારી લેવી જોઈએ.
આ કેસમાં ગ્રાહકે, પોતાનાં વાંક વિના જ મીટરની લેબોરેટરી તપાસ માટે રૂ. 295 ભરવા પડ્યા. અને માનસિક યાતના, સમયની બરબાદી એ બધી વધારાની નુકસાની !! આ તો ઠીક છે કે આ ગ્રાહક સરળ પ્રકૃતિ ધરાવે છે, કોઈ જિદી ગ્રાહક હોય તો, ગ્રાહક સુરક્ષા ફોરમમાં મામલો ખેંચી જઈ શકે, તંત્રને પગે લગાડી શકે, માફી મંગાવી શકે અને વળતર પણ મેળવી શકે. તંત્રએ બોધપાઠ લઈ સુધરી જવું જોઈએ. અને, જો આ પ્રકારના બિલો કોઈ ષડયંત્રનાં ભાગરૂપે બનાવવામાં આવતાં હોય તો, તંત્રએ પોતાની માયા સંકેલી લેવી જોઈએ. આ પ્રકારની ઘણી બાબતોમાં આખરે તંત્રએ હાથ જોડવાની મજબૂરી સહન કરવી પડતી હોય છે – એ મુદ્દો તંત્રએ કાયમ યાદ રાખવો જોઈએ.