Mysamachar.in:જામનગર
આપણે ત્યાં સદીઓથી કહેવાયું છે, ‘ ખેતી ઉતમ, મધ્યમ વેપાર અને નોકરી કનિષ્ઠ આજિવિકા” અને સુખચેનથી જિવવા ખેતી શ્રેષ્ઠ માધ્યમ છે છતાં, કમનસીબે શહેરીકરણના પાપે આજે મોટાભાગનો ખેડૂત વર્ગ ખેતીથી દૂર ભાગી રહ્યો છે ! બીજી બાજુ સમજદાર લોકો ખેતીને વધુ પ્રેમ કરતાં પણ થયાં છે. જે સારી નિશાની છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણના ના કારણે ખેતીની જમીનો ઘટી રહી છે, વસતિમાં સતત વધારો થઈ રહ્યો છે એ સ્થિતિ જોતાં આગામી સમયમાં ખેડૂતો સમાજમાં સૌથી સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરશે, એ નકકી જ છે.
ઘણાં ખેડૂતો ખેતી પર બહુ ધ્યાન આપતાં નથી, વાડી ખેતરોની રોજેરોજ મુલાકાત લેતાં નથી. આગોતરી તૈયારીઓ સમયસર કરતાં નથી. સરકારી યોજનાઓ અને સતત અપડેટ થતી ટેકનોલોજી નો ભરપૂર લાભ મેળવવાની આવડત તથા ઉત્સાહ ધરાવતાં નથી, જેને કારણે તેઓની ખેતી લંગડાતી ચાલતી હોય છે, જે અંતે ભાંગી પડે છે. જો કે કેટલાંક પ્રગતિશીલ ખેડૂતો વાડીખેતરને દુકાન, ઓફિસ અથવા કારખાનું સમજી નિયમિત રીતે વાડીખેતરે જવાનો અને ખેતીમાં ઉંડો રસ દાખવવાનો ક્રમ ધરાવે છે. તેઓ સારૂં વળતર મેળવે છે. મગફળી અને કપાસ તથા જીરૂ સહિતના પાકોમાં ઘણાં બધાં ખેડૂતો સામાન્ય ઉતારાથી સંતોષ માની લેતાં હોય છે અને કેટલાંક મહેનતુ ખેડુતો દરેક પાકમાં મહત્તમ ઉતારા માટે જડબેસલાક પ્લાનિંગ દ્વારા શ્રેષ્ઠ વળતર પ્રાપ્ત કરે છે.
જામનગર નજીકના ફલ્લાના ખેડૂત પોતે ધ્રોલ ખાતે વસવાટ કરતાં હોવાં છતાં નિયમિત વાડીએ જાય છે અને ખેતીમાં ખૂબ જ ધ્યાન આપે છે. તેઓ અન્ય ખેડૂતોની સરખામણીએ દરેક પાકમાં, ખાસ કરીને મગફળી અને જીરૂ જેવાં પાકોમાં ઉંચા ઉતારા અને તેથી વધુ વળતર મેળવી રહ્યા છે. તેઓએ મગફળીમાં વીઘે 30-32 મણ જેટલો ઉતારો તથા જીરૂમાં 13 મણનો ઉતારો મેળવ્યો છે. તેઓ ખેતીની વિવિધ રીતે ખૂબ જ માવજત કરે છે, રાજ્યસ્તરે તેઓ આ મહેનતને કારણે જાણીતાં બની રહ્યા છે. વધુ ખેત ઉત્પાદનો સંબંધિત ખેડૂતો અને ખેતમજૂરો નું સશક્તિકરણ તો કરે જ છે સાથેસાથે દેશની ઉન્નતિ માટે પણ આ મુદ્દો ઉદ્યોગ અને વેપાર જેટલો જ અગત્યનો છે, ખાસ કરીને ખેડૂત મિત્રોએ આ હકીકત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.