Mysamachar.in:ગુજરાત
આજથી 14 વર્ષ પહેલાં સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, અકસ્માતનો પ્રત્યેક કિસ્સો નજીકનાં પોલીસ સ્ટેશનમાં નોંધાવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે આપેલાં આ નિર્દેશને ગુજરાત હાઇકોર્ટે આજની તારીખે રાજ્યમાં અમલી બનાવવા સરકારને સૂચના આપી નથી, એવું જાહેર હિતની એક અરજીમાં હાઈકોર્ટમાં કહેવાયું છે. આ ઉપરાંત ઉપરોક્ત ચુકાદામાં એમ પણ કહેવાયું હતું કે, મોટર વ્હીકલ એકટની કલમ-166(4)ને અસરો આપવા માટે પ્રત્યેક ટ્રિબ્યુનલને આ માટેનાં રજિસ્ટર તથા ફોર્મ અને અન્ય સહયોગ આપવાની જવાબદારી હાઈકોર્ટનાં રજિસ્ટ્રાર જનરલે નિભાવવાની રહેશે. તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.
સુપ્રિમ કોર્ટમાં 2009 માં એક ચુકાદામાં સ્પષ્ટ રીતે કહેવાયું હતું કે, દેશની દરેક હાઈકોર્ટનાં રજિસ્ટ્રાર જનરલે પોતાનાં રાજ્યમાં દાવા પતાવટ કરતી પ્રત્યેક ટ્રિબ્યુનલને સૂચના આપવી જોઈએ કે, મોટર વ્હીકલ એકટની કલમ-158(6) મુજબ, પ્રત્યેક અકસ્માત કેસમાં કોઈ ઈજાગ્રસ્ત અથવા મૃતકનાં વારસદારોએ વળતર મેળવવા દાવો ન કર્યો હોય તો પણ, વળતર પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.
હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં અરજદાર વકીલે જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટનાં આ નિર્દેશનો રાજ્યમાં આટલાં વર્ષો પછી પણ અમલ શરૂ કરવામાં આવ્યો નથી. મુખ્ય કાર્યકારી ન્યાયમૂર્તિ એજે દેસાઈ અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ અરજદારને જણાવ્યું છે કે, તમારી અરજી હાઈકોર્ટની રજિસ્ટ્રી શાખાને આપી દો અને હવે પછીની સુનાવણી આગામી 27 એપ્રિલે હાથ ધરવામાં આવશે. અત્રે એ પણ નોંધનીય છે કે, સુપ્રિમ કોર્ટમાં ઉપરોક્ત ચુકાદામાં એમ પણ કહેવાયું હતું કે, કોઈ પણ અકસ્માત પીડિત મોટર વ્હીકલ એકટ હેઠળ ટ્રિબ્યુનલમાં વળતર દાવો કરવા ઈચ્છતી હોય તેવી વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે ફરિયાદ નોંધાવવી જોઈએ ? એ અંગેનું માર્ગદર્શન પીડિતને આપવા માટેની વ્યવસ્થા પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં ઉભી કરવાની રહેશે.