Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં કોરોનાની મહામારી જીવલેણ સાબીત થઇ રહી છે, ત્યારે કોરોના સામે આરોગ્ય વિભાગ દિવસ-રાત કામગીરી કરીને જંગ લડી રહ્યુ છે અને કોવીડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર કારગત ન નિવડતા મોત નિપજવાના કિસ્સાઓમાં પણ વધારો થઇ રહ્યો છે, તેવામાં પ્લાઝમાં પધ્ધતિથી ઇલાજ કરીને તબીબો દ્વારા ગંભીર રીતે કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીને સાજા કરવા માટે પ્રયાસો સફળ થઇ રહ્યા હોય જેની સામે પ્લાઝમા ડોનેટ કરવામાં હજુ ઉદાસીનતા જોવા મળતી હોય અત્યાર સુધીમાં કોરોના સાજા થયેલા દર્દીઓની સામે પ્લાઝમા ડોનેટ કરવાની સંખ્યા ઓછી જોવા મળતી હોય માણસ જ માણસને કામ આવે તેવી ભાવના સાથે પ્લાઝમા ડોનેટ કરવાથી માનવ જીંદગી બચાવી લેવાની હવે જરૂર ઉભી થઇ હોવાનું અહેસાસ થઇ રહ્યો છે,
જામનગર શહેર તથા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમીત થયેલ 3 હજાર ઉપર દર્દીઓની સામે કોરોનાની સાજા થયેલ દર્દીની સંખ્યામાં પણ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સાજા થયેલા દર્દીઓમાં શરીરમાંથી પ્લાઝમા નામના એન્ટીબોડી તત્વો ખાસ મશીન દ્વારા લઇને આ પ્લાઝમાનો કોરોનામા સપડાયેલા ગંભીર દર્દીના ઇલાજમાં ઉપયોગ કરવાથી સાજા કરવાની આ પધ્ધતિ કારગત નિવડી રહી છે,
ત્યારે અત્યાર સુધીમાં જામનગરમાં જુજ જેટલા લોકો જ પ્લાઝમા ડોનેશન માટે આગળ આવ્યા છે, અને 50 થી 60 જેવા ડોનેટ કરવા માટે તૈયારી દર્શાવીને સમયની રાહ જોઇ રહ્યા છે ત્યારે ગંભીર દર્દીઓના કિસ્સામાં પ્લાઝમાની જરૂર હોય છે ત્યારે જી.જી હોસ્પીટલનું તંત્ર પણ આ માટે પ્રયાસ કરતુ હોય છે. તેમાં પોજીટીવ આવેલ દર્દીએ વિના સંકોચે ડર્યા વગર સીધો જ બ્લડ બેન્કનો સંપર્ક કરવો જોઈએ તેમ બ્લડ બેંક ઇન્ચાર્જ ડો.વાછાણી જણાવે છે,
વધુમાં મળેલી માહિતી મુજબ માનવ શરીરના રકતમાં કણો અને પ્રવાહી (પ્લાઝમા)રહેલા છે, કણોમાં રકતકણ શ્વેતકણ અને પ્લેટલેટનો સમાવેશ થાય છે. તંદુરસ્ત વ્યક્તિમાં આશરે 45% કણો અને આશરે 55% પ્લાઝમાનો ભાગ હોય છે. ત્યારે પ્લાઝમામાં આશરે 92% જેટલું પાણી હોય છે. અને 8% માં પ્રોટીન હાર્મોન, મિનરલ્સ, એન્ટીબોડી વગેરે હોય છે. અને કોઈ પણ વ્યક્તિ કે જેને કોવિડ-19 નો ચેપ લાગેલ હતો અને સાજા થયા બાદ એન્ટીબોડી ઉત્પન્ન થઈ હોય એ વ્યક્તિનું પ્લાઝમા આશરે 21 થી 28 દિવસે ઉપયોગમાં આવી શકે છે.
દરમિયાન વધુમાં મળતી વિગત મુજબ 18 વર્ષ થી 65 વર્ષની ઉમર ધરાવતા પુરુષ કે સ્ત્રી (એર્બોશન કે ડીલેવરી ન થયેલ હોય) જેમણે તાવ અને ખાંસીને લક્ષણો સંક્રમણ દરમ્યાન હતા તથા વજન 50. કિ.ગ્રા થી વધુ અને હિમોગ્લોબીન 12.5% કરતાં વધુ હોય શરીરમાં પ્રોટીનનું પ્રમાણ 6% વગેરે હોય તથા લોહીથી ફેલાતા રોગો હમણાં કે ભૂતકાળમાં ના થયેલ હોય તેવા વ્યકિત પ્લાઝમા માટે સક્ષમ હોવાનો તબીબી અભિપ્રાય છે.
-પ્લાઝમા દાન કરવાની પ્રક્રિયા
લોહીના સેમ્પલમાથી જરૂરી ટેસ્ટ જેવા કે કોવિડ-19 એન્ટીબોડી, સીફીલીસ, ઝેરી કમળો બી અને સી, મલેરિયા, એચ.આઈ.વી, પ્રોટીન યોગ્ય હોય તેવા સંજોગોમાં ડિસ્પોઝેબલ સ્ટરાઈલ કીટની મદદથી ઓટોમેટિક એફેરેસિસ મશીનથી પ્લાઝમા ડોનેશન લેવામાં આવે છે, આ ડોનેશન પ્રક્રિયા લોહીના ડોનેશન જેવી જ હોય છે. પંરતુ મશીનમાં લોહીના રકતકણોને તથા પ્લેટલેટને ડોનરના શરીરમાં પાછા દાખલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા સાદી અને ખૂબ જ સુરક્ષિત છે. તેમજ પ્લાઝમા દાન કર્યા બાદ તરત જ પોતાનું રૂટિન કામ કરી શકાય છે
-પ્લાઝમાની જરૂરીયાત કેવા દર્દી માટે હોય છે.?
કોવિડ-19 થી સંક્રમિત દર્દી જેનું ઑક્સીજન લેવલ 93% થી ઓછું રહેતું હોય, કોવિડ-19 થી સંક્રમિત દર્દી જે વેન્ટિલેટર પર હોય, કોન્વોલેસન્ટ પ્લાઝમામાં રહેલ એન્ટીબોડી હાલ કોવિડ-19 થી સંક્રમિત દર્દીના શરીરમાં દાખલ કરતાં દર્દી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.