Mysamachar.in-જામનગર;
ચૂંટણી એટલે ડખ્ખાનું ઘર ! ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો આવું અનેકવાર બોલતાં હોય છે. એમાંય ગ્રામ્ય વિસ્તારોમાં તો ચૂંટણી સંબંધી ઝઘડાઓ પુષ્કળ થતાં હોય છે, તંત્ર સમક્ષ રજૂઆતો અને ફરિયાદો પણ થતી રહેતી હોય છે પરંતુ FIR સાવ જૂજ સંખ્યામાં નોંધાતી હોય છે ! તો શું મોટાભાગની રજૂઆતો અને ફરિયાદો ખોટી હોય છે ?! કે, આપસમાં બધું સૂલટી જતું હોય છે ?! તંત્ર પણ ઘણી ફરિયાદો નોંધતું હોય છે પરંતુ પછી, ‘રાત ગઈ,બાત ગઈ’ની માફક સૌ બધું ભૂલી જતાં હોય છે !
આપણે ગત્ વિધાનસભા ચૂંટણી સમયનાં કેટલાંક આંકડા જોઈએ. દરેક ચૂંટણીમાં આચારસંહિતાના અમલની ઘણી વાતો વચ્ચે, સંખ્યાબંધ રજૂઆતો અને ફરિયાદો નોંધાતી હોય છે. ચૂંટણીનાં લખાણ-પોસ્ટર, વાહનોનો દૂરૂપયોગ, લાઉડસ્પીકર વગાડવા સંબંધે,બેઠકો અને ભાષણો અંગે, મતદારોને રીઝવવા આપવામાં આવતી લાલચો અને અન્ય પ્રકારની હજારો કે લાખો ફરિયાદો જોવા મળતી હોય છે. ગત્ વિધાનસભા ચૂંટણીમાં આવી ફરિયાદો અને રજૂઆતો ત્રણ લાખથી વધુની સંખ્યામાં જોવા મળી પરંતુ FIR નોંધવાનો તબક્કો આવ્યો ત્યારે આખાં રાજ્યમાં માત્ર નવ FIR થઈ ! મોટાભાગના જિલ્લાઓમાં FIR જ ન થઈ ! રાજકીય પક્ષોએ, નેતાઓએ, અધિકારીઓએ અને કાર્યકરોએ નોંધાવેલી લાખો ફરિયાદો સૌ ભૂલી ગયા, પાંચ વર્ષ દરમિયાન !!
સામાન્ય રીતે, પ્રતિસ્પર્ધી પક્ષો અને કાર્યકરોને પરેશાન રાખવા આવી રજૂઆતો અને ફરિયાદો થતી હોય એવો ઘાટ છે. તંત્ર પણ પોતે કરેલી ફરિયાદો ચૂંટણી પરિણામો પછી ભૂલી જતું હોય એવું જોવા મળી રહ્યું છે ! ગત્ લોકસભાની ચૂંટણીમાં પણ આમ થયેલું. દોઢેક લાખથી વધુ ફરિયાદોનો ઢગલો થયો પરંતુ આખાં રાજ્યમાં માત્ર અઠાવન FIR દાખલ થઈ અને આવી FIR પછી પણ ખાસ કશું નોંધપાત્ર બનતું હોતું નથી, એવી સ્થિતિ આખાં રાજ્યમાં જોવા મળતી હોવાનું સમજાઈ રહ્યું છે.