Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતની તારીખોને લઈને ભારે ઉતેજનાનો માહોલ જામી રહ્યો છે. અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે, ડિસેમ્બરમાં ગુજરાતનાં મતદારોને નવી સરકાર મળી શકે છે. નવેમ્બરનાં અંત સુધીમાં ચૂંટણી સંબંધી બધો જ સંકેલો થવાની સંભાવના એટલાં માટે સૂત્રો વ્યક્ત કરે છે કેમ કે, ચૂંટણી પંચ 15 અથવા 16 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 13 અને 14 ઓક્ટોબરે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને, સંભવિત તરત જ ચૂંટણીની તારીખો જાહેર થશે. એ પણ નોંધનીય છે કે, 18 મી ઓક્ટોબરે ગુજરાતમાં નેશનલ કક્ષાનો ડિફેન્સ એક્સ્પો યોજાઈ રહ્યો છે જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન કરવાનાં હોય, સરકારમાં જબ્બર આયોજન ચાલી રહ્યું છે.
કાલે રવિવારે ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોનાં પ્રભારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતાં.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં ચૂંટણી ભંડોળ અને પક્ષની તમામ બેઠકો પરની વર્તમાન-લેટેસ્ટ સ્થિતિ અંગે ગંભીર ચર્ચાઓ થઈ હતી. આ ઉપરાંત વધુ મતદાન માટે બુથ સંચાલન સહિતની બાબતો પર વિચારવિમર્શ થયો હતો.શરદપૂર્ણિમાનાં તહેવાર પછી, તરત જ રાજ્યભરમાં એક તરફ દિવાળી મહોત્સવ માટેનો ઉમંગ લોકોમાં છવાઈ જવો શરૂ થશે, બરાબર એ જ સમયે રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ જશે તો, સર્વત્ર વાતાવરણ એકદમ વાઈબ્રન્ટ બની જઈ શકે છે.