Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના અમુક વિભાગો પેધી ગયેલા છે અને તે લોકો એટલે કે શહેરીજનો તો ઠીક પણ ચૂંટાયેલા સભ્યોને પણ ગણકારે તેમ નથી.અને આવું અનેકવાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સામાન્ય સભા સહીતના માધ્યમથી સામે આવતું રહે છે.તાજેતરમાં જ મળેલ સ્ટે.કમિટીની બેઠકમાં કમિશ્નર, નાયબ કમિશ્નર,સ્ટે.ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય અધિકારીઓ અને સભ્યોની હાજરીમાં બે વિભાગ સોલીડ વેસ્ટ વિભાગ અને ભૂર્ગભગગટરના અધિકારીઓ વચ્ચે તું..તું..મેં…મેં…થઇ ગઈ હોવાનું આંતરિક સુત્રો જણાવે છે.
મુદ્દો કઈક એવો હતો કે ભુગર્ભ ગટર તેમજ ઓપન ગટર અન્વયે બનાવવામાં આવેલ પાઇપ ગટરની સફાઇ અંગે ભુગર્ભ ગટર શાખા અને સોલીડ વેસ્ટ શાખા વચ્ચે સંકલનના અભાવે આવી ફરીયાદોનો નિકાલ થતો નથી. અને આ મુદ્દો ચર્ચામાં આવતા એક વિભાગ કહે કે અમારામાં સફાઈ ના આવે બીજો વિભાગ કહે કે આ સફાઈ અમારામાં ના આવે….તો આ કામ કોનું કારણ કે જયારે મલાઈ તારવવાની વાત આવે છે ત્યારે તો કોઈ હાથ ઉચા નથી કરતા…તો પછી આવી સફાઈ વખતે કેમ ભાઈ…?? અને આ જ વાત ને લઈને બન્ને વિભાગના બાબુઓ વચ્ચે ચકમક ઝરતા મામલો હાજર અધિકારી દ્વારા થાળે પાડી અને એવું નક્કી કરવામાં આવ્યું કે આ પાઇપ ગટર સફાઇની કામગીરી સોલીડ વેસ્ટ શાખાએ કરવાની રહેશે. પરંતુ, પાઇપ ગટરને કનેકટેડ ભુગર્ભ ગટરની સફાઇ ભુગર્ભ ગટર શાખાએ જ કરાવવાની રહેશે.